પોલીસને અપશબ્દો બોલવા બદલ પાસ કન્વિનર કથીરિયાની અટકાયત બાદ જામીન
સુરતથી અલ્પેશ કથીરિયાની અટકાયત(ફાઈલ તસ્વીર)
સુરતની વરાછા પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હતી જે બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. કારના પાર્કિંગને લઈને અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસને PI સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે અલ્પેસ કથીરિયા અપશબ્દો બોલ્યો હતો. જે બાદ એક PSIને ધમકી પણ આપી હતી. પોલીસનો આરોપ છે કે અલ્પેશે ટ્રાફિક PI અને એક PSIને ધમકી આપી હતી. જે બાદ તેની અટકાયત કરવામાં આવી.
સુરતમાંથી અલ્પેશ કથીરિયાની અટકાયત કરવામાં આવ્યાની સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો. અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં થોડા દિવસો પહેલા જ જેલમાંથી મુક્તિ મળી હતી. જામીન મળ્યા બાદ અલ્પેશ રાજ્યના વિવિધ શહેરોમાં ફરી રહ્યો હતો અને આંદોલનને વધુ મજબૂત બનાવી રહ્યો હતો.
વરાછા પોલીસ સાથે અલ્પેશે કર્યું અશોભનીય વર્તન
અહેવાલો પ્રમાણે ટ્રાફિક પોલીસે અલ્પેશ કથીરિયાના બાઈકને ક્રેન પર ચડાવી દીધી હતી. જે બાદ અલ્પેશે હોબાળો કર્યો હતો. જો કે કથીરિયાનો એવો પણ આરોપ છે કે ટ્રાફિક PSIએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જે બાદ તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. જ્યાં પણ PI અને PSI સાથે તેણે અભદ્ર વર્તન કરતા તેની અટકાયત કરવામાં આવી. જે સાથે જ વરાછા પોલીસ સ્ટેશને પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો.