સુધરાઈનું આવકારદાયક કાર્ય, કોરોનાના પેશન્ટના ઘરે જઈને સ્ટેટસ ચેક કરે છે, શહેરમાં છેલ્લા નવ દિવસમાં ૪૯૦૦૦થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં એસવીપી હૉસ્પિટલ પાસે આવેલા ઇવેન્ટ સેન્ટર સામે ઊભી રહેલી સંજીવની વૅન
ગુજરાતના અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આવકારદાયક કાર્ય કરતા હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દરદીઓના ઘરે જઈને તેમનું સ્ટેટસ ચેક કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં સંજીવની વૅન દ્વારા ૧૭,૦૦૦થી વધુ કોરોનાના હોમ આઇસોલેશન દરદીઓનું મોનિટરિંગ કરાયું હતું અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. ગુજરાતમાં ગઈ કાલે કોરોના ના કુલ ૨૧,૨૨૫ કેસ નોંધાયા હતા અને ૧૬ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. તે પૈકી અમદાવાદમાં કોરોનાના કુલ ૮૬૨૭ કેસ નોંધાયા હતા અને ૮ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. અમદાવાદ શહેરમાં ગઈ કાલે નવા ૪૨ માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા હતા જ્યારે ૮ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર દૂર કરાયા હતા. ગઈ કાલ સુધીમાં અમદાવાદમાં કુલ ૧૬૫ વિસ્તાર અૅક્ટિવ માઇક્રો કન્ટેઇન્મેન્ટ તરીકે અમલમાં હતા. અમદાવાદમાં છેલ્લા નવ દિવસમાં ૪૯,૮૪૧ કેસ નોંધાયા છે.