સુરતની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર, વિદ્યાર્થીઓ તેમ જ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞા લીધી: અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી
બાવન ગજની ધજા સાથે સાઇક્લિસ્ટો સાથે મિલિંદ સોમણ અંબાજી પહોંચ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ગઈ કાલે અમદાવાદ ઉપરાંત સોમનાથ, અંબાજી, બહુચરાજી સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરતની સિવિલ હૉસ્પિટલના ૨૫૦ જેટલા ડૉક્ટર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી.
ગઈ કાલે સુરતમાં નવી સિવિલ હૉસ્પિટલના અને તબીબી મહાવિદ્યાલયના વર્ગ એકથી ચારના કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો હું ભવિષ્યમાં આકસ્મિક રીતે બ્રેઇન-ડેડ થાઉં તો અન્યને જીવતદાન આપવા માટે મારાં અંગોનું દાન કરવા સંમતિ આપું છું.
ADVERTISEMENT
વડા પ્રધાનના જન્મદિને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરમાં જઈને દાદા ભગવાનના ચરણમાં નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
શક્તિપીઠ અંબાજી અને પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞ યોજાયો હતો. અંબાજી મંદિરના ચાચરચોકમાં નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિવાળી રામમંદિરના થીમને લઈ રંગોળી બનાવાઈ હતી, જેણે માઈભક્તોમાં આકર્ષણ ઊભું કર્યું હતું, જ્યારે સોમનાથ મંદિરમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પુરોહિતો દ્વારા આયુષ્યમંત્ર જાપ, ૧૨૧ રુદ્રીપાઠ કરવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમારે મહાપૂજા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ધરોઈથી અંબાજી સુધી ૮૨ કિલોમીટરની સાઇક્લેથૉન યાત્રા યોજાઈ હતી. સાઇકલિસ્ટોએ બાવન ગજની ધજા અને બીજી ૨૧ નાની ધજાઓ મંદિરમાં અર્પણ કરી હતી. આ ટીમ સાથે બૉલીવુડના મિલિન્દ સોમણ પણ જોડાયા હતા.
વડનગરની શાળામાં પણ વડા પ્રધાનના જન્મદિનની ઉજવણી થઈ હતી અને જમણવાર યોજાયો હતો. અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં ૭૨ ફુટની કેક બનાવાઈ હતી.