સ્થાનિક આગેવાનો સાથે મળીને કરશે પ્રચાર : નરેન્દ્ર મોદી પણ વધુ એક વખત આવશે ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારના એક ડઝનથી વધુ પ્રધાનો આજથી ગુજરાતમાં ધામા નાખીને પ્રચાર માટે ગુજરાતના ખૂણે-ખૂણે ફરી વળશે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં સ્થાનિક આગેવાનો સાથે મળીને પક્ષનું પ્રચાર કાર્ય કરશે. એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર અને મહેસાણા સહિતનાં સ્થળોએ આવશે અને વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા બીજેપી કોઈ કસર બાકી રાખવા માગતું નથી અને એટલે જ અત્યારથી જ ગુજરાતમાં પ્રચારકાર્ય તેજ બનાવ્યું છે. આજે કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી વ્યારા અને નિઝરમાં, જ્યારે બી.એલ.વર્મા મહેમદાવાદ અને મહુધા વિસ્તારમાં સ્થાનિક આગેવાનો સાથે મળીને પ્રચારકાર્ય આરંભશે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઈરાની, વીરેન્દ્રકુમાર, સાધ્વી નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ, અર્જુન મુંડા, ગિરિરાજસિંહ, કિરણ રિજ્જુ, પ્રતિમા ભૌમિક, ભાનુપ્રતાપસિંહ વર્મા સહિતના પ્રધાનો ઉના, સોમનાથ, સિદ્ધપુર, દાહોદ, ઝાલોદ, બોટાદ, પાલનપુર, ગઢડા, પાલિતાણા, હાલોલ, રાજુલા, મહુવા, મોડાસા, ધોળકા, વિરમગામ, સાવરકુંડલા, સોજિત્રા, પેટલાદ, કાલોલ સહિત દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં સ્થાનિક આગેવાનો સાથે મળીને મીટિંગો અને સભા કરીને પ્રચાર કાર્ય કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઑક્ટોબરે જામનગરમાં આવી રહ્યા છે અને સૌની યોજનાના પૅકેજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી મહેસાણા પણ આવશે.