બીજેપીના ભુક્કા બોલાવી દેવાની વાત કરનાર જગદીશ ઠાકોરે ખુરસી સંભાળ્યાના પહેલા દિવસે ખુરસીના પાયા હલ્યા, ગુજરાત કૉન્ગ્રેસના નેતા સાગર રાયકા બીજેપીમાં જોડાયા
ગુજરાત કૉન્ગ્રેસના નેતા સાગર રાયકા કૉન્ગ્રેસનો સાથ છોડીને બીજેપીમાં જોડાયા હતા. સાગર રાયકાને આવકારતા સાંસદ વિનોદ ચાવડા અને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે ગઈ કાલે પદ ગ્રહણ કર્યું તેની સાથે જ ગુજરાત કૉન્ગ્રેસના આગેવાન સાગર રાયકા બીજેપીમાં જોડાતાં ગુજરાત કૉન્ગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. બીજેપીના ભુક્કા બોલાવી દેવાની વાત કરનાર જગદીશ ઠાકોરે પ્રમુખપદની ખુરસી સંભાળ્યાના પહેલા દિવસે ખુરસીના પાયા હલ્યા હતા.
ગુજરાત કૉન્ગ્રેસના ફાયરબ્રૅન્ડ નેતા જગદીશ ઠાકોરે ગઈ કાલે શક્તિ-પ્રદર્શન કરવાની સાથે ગુજરાત કૉન્ગ્રેસની કમાન સંભાળી તેના થોડા જ સમયમાં બીજી તરફ ઉત્તર ગુજરાતના કૉન્ગ્રેસના આગેવાન તેમ જ રાજ્યસભાના સંસદસભ્ય તરીકે રહી ચૂકેલા સાગર રાયકાએ કૉન્ગ્રેસનો હાથ છોડીને દિલ્હીમાં બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો. બીજેપીમાં જોડાયા બાદ સાગર રાયકાએ કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘આજે કૉન્ગ્રેસમાં નેતૃત્વની મોટી ક્રાઇસીસ છે. શું ડિસિઝન લેવું, શું કરવું તેનું કોઈ ઠેકાણું નથી. અમે લોકોથી દૂર થઈ ગયા હતા એટલે હું ચિંતિત હતો કે શું થશે પાર્ટીનું. લોકો સાથેની ચેન હોવી જોઈએ, પાર્ટીઓના નેતાઓની અને કાર્યકરોની તે ચેન તૂટી છે એટલે કૉન્ગ્રેસ પાર્ટીમાં મને વધુ આશા નથી દેખાતી. મને કોઈએ કહ્યું નથી, હું મારી જાતે બીજેપીમાં જોડાયો છું. આ પાર્ટીનું સમર્થન કરુ છું.’
સાગર રાયકા બીજેપીમાં જોડાયા તે મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ‘કોઈ જાય તો નુકસાન પણ થાય છે અને નવું નેતૃત્વ ઊભું થાય છે. ટૂંકા ગાળાનું નુકસાન, પણ લાંબા ગાળામાં નવી લીડરશિપ ડેવલપ થવાના ચાન્સિસ વધવાના.’
ADVERTISEMENT
ગુજરાત કૉન્ગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈ કાલે પદગ્રહણ કરીને સભાને સંબોધી હતી
ગુજરાતમાં બીજેપી સરકારની ડર અને ભયની રાજનીતિ હવે નહીં ચાલેઃ જગદીશ ઠાકોર
ગુજરાત કૉન્ગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈ કાલે પદ ગ્રહણ કરી ગુજરાતની બીજેપી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘ગુજરાતમાં બીજેપી સરકારની ડર અને ભયની રાજનીતિ હવે નહીં ચાલે. ગરીબ–સામાન્ય વર્ગ અને કૉન્ગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરવાની રીતિ-નીતિ ચલાવી લેવામાં નહીં આવે.’
અમદાવાદમાં આવેલા પ્રદેશ કૉન્ગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ગઈ કાલે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભા કૉન્ગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઊમટી પડ્યા હતા. એક રીતે કૉન્ગ્રેસે શક્તિ-પ્રદર્શન યોજ્યું હતું.
જગદીશ ઠાકોરે પદગ્રહણ સમારોહમાં બીજેપી સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘ગુજરાત કૉન્ગ્રેસ તમામ સમાજ–વર્ગના લોકોને સાથે રાખીને ૨૭ વર્ષથી શાસન કરતી બીજેપીની ભ્રષ્ટ સરકારના અહંકારનો ભુક્કો બોલાવશે. ગુજરાતમાં ૫૦ લાખથી વધુ બેરોજગાર યુવાનોને બીજેપી સરકારે માત્ર નોકરીનાં ઠાલાં વચનો આપ્યાં છે. બીજેપી સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર બનશે તો પહેલી કૅબિનેટ મિટિંગમાં ગુજરાતના તમામ ખેડૂતોનાં દેવા-માફીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષ ટીમ કૉન્ગ્રેસ તરીકે એકસાથે લડશે.’