પાટીદાર કથિત દમન મામલે હાર્દિક પટેલને નોટિસ
હાર્દિક પટેલ (Image Courtesy: Hardik Patel Facebook)
કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલને પૂંજ કમિશને નોટિસ ફટકારી છે. પાટીદારો પર થયેલા કથિત દમન મામલે હાર્દિક પટેલે પૂંજ કમિશન સામે હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC મેદાન પર વિશાળ જનસભાનું આયોજન થયું હતું. આ જનસભા બાદ રાજ્યમાં પાટીદારો પર હુમલા થયાની ફરિયાદો ઉઠી હતી. આ કેસની તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને હાર્દિક પટેલને હાજર રહેવા નોટિસ પાઠવી છે.
નોટિસ પ્રમાણે હાર્દિક પટેલે 16 સપ્ટેમ્બરે પૂંજ કમિશન સામે હાજર રહેવું પડશે. પૂંજ કમિશને હાર્દિક પટેલ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતના લોકોને પણ નોટિસ આપી છે. હાર્દિક પટેલને 16 સપ્ટેમ્બરે તો ચિરાગ પટેલને 21મી સપ્ટેમ્બરે હાજર રહેવા માટે નોટિસ અપાઈ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જીએમડીસીમાં યોજાયેલી મહાસભા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. આ દરમિયાન પોલીસે પાટીદારો પર દમન કર્યાની ફરિયાદ ઉઠી હતી. જેની તપાસ કરવા માટે રાજ્ય સરકારે 2017ના ઑક્ટોબર મહિનામાં હાઇકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમો બદલાયા કે નહીં? ગડકરીના નિવેદનથી વધી મૂંઝવણ
પૂંજ કમિશનની મુદત પૂરી થઈ રહી છે. 30 સપ્ટેમ્બરે પૂંજ કમિશનની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે આ પહેલા પૂંજ કમિશન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.