કોવિડ નિયમો મુજબ મૅરેજની જાણ પોલીસ-સ્ટેશનમાં કરવાની રહી ગઈ એમાં વરરાજા, તેના પપ્પા, ગોરમહારાજ, ફોટોગ્રાફર ને વિડિયોગ્રાફર સુધ્ધાં જેલમાં
પોલીસ સ્ટેશનમાં વરરાજા.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામે ગઈ કાલે બાબુભાઈ મોરબિયાની દીકરીનાં મૅરેજ હતાં. જાન માંડવે આવી ગઈ, લગ્નની વિધિ થઈ ગઈ, નવદંપતીએ ફેરા ફરી લીધા અને જમણવાર પણ પતી ગયો, પરંતુ એ પછી પોલીસે આવીને વરરાજા સહિત કુલ ૮ જણની અરેસ્ટ કરી. આ અરેસ્ટ કોવિડની ગાઇડલાઇનના ભંગ બદલ કરવામાં આવી હતી. કોવિડની ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગાઇડલાઇન મુજબ મૅરેજની જાણકારી પોલીસ-સ્ટેશનમાં કરવાની અને ત્યાં પત્રિાકા જમા કરાવવાની હોય છે. જોકે દીકરીનાં માબાપથી એ ભૂલ થઈ ગઈ હોવાથી જમાઈ અનિલકુમાર સહિત તેના પપ્પા, ગોરમહારાજ અને ફોટોગ્રાફર-વિડિયોગ્રાફરની પણ અરેસ્ટ થઈ હતી.
એટલું જ નહીં, જમાઈ-વેવાઈ સહિત આઠેઆઠ લોકોએ આખી રાત પોલીસ-સ્ટેશનમાં પસાર કરવી પડી હતી. તપાસ અધિકારી કે. ડી. વામજાએ કહ્યું કે ‘કોવિડના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવવામાં આવ્યો છે. લગ્નમાં ૫૦થી વધુ લોકો ન આવી જાય એ માટે અગાઉ જાણ કરી હોય તો જ પોલીસ એ નિયમનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખી શકે, પણ આ પરિવારે તો જાણ કરવાની પણ તસ્દી લીધી નહીં અને જાહેરનામાનો ભંગ કર્યો.’