ગુજરાતના મુખ્ય પ્રધાને ભાવપૂર્વક નર્મદા વંદના કરી મંત્રોચ્ચાર સાથે શ્રીફળ, ચૂંદડી, પુષ્પોથી નર્મદા નદીને વધાવી
Gujarat Monsoon
મુખ્ય પ્રધાને ભાવપૂર્વક નર્મદા વંદના કરી
ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડૅમ છલોછલ થયો છે. સરદાર સરોવર ડૅમ પર ૧૩૮.૬૮ મીટરની સપાટીએ નર્મદાના પાણી પહોંચતાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે એકતાનગર પાસે આવેલી સરદાર સરોવર ડૅમ સાઇટ પર જઈને સવારે ભાવપૂર્વક નર્મદા વંદના કરીને નમામિ દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ, ચૂંદડી, પુષ્પોથી નર્મદા નદીને વધાવી હતી. સરદાર સરોવર ડૅમ વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૦ પછી ત્રીજી વખત પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પગલે નર્મદા બેસિન અને ડૅમમાં પાણીની સારી આવક થઈ છે. ડૅમ છલોછલ થતાં ગુજરાતનાં ગામો, નગરો અને શહેરોમાં અગામી ઉનાળા સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી નહીં થાય.
નર્મદાના કમાન્ડ વિસ્તારનાં ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. નર્મદામૈયાના પૂજન-અર્ચન વખતે ગુજરાતના પ્રધાન જિતુ ચૌધરી, સંસદસભ્ય મનસુખ વસાવા તેમ જ સરદાર સરોવર નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.