નરેન્દ્ર મોદીની સભામાં કહ્યું કે ‘હું પહેલાંથી બીજેપીમાં જોડાયો છું, આમ આદમી પાર્ટીના નેતાને તો મહેમાનગતિ માટે બોલાવ્યા હતા’
બીજેપીના ખેસ સાથે (ડાબેથી છેલ્લો) વિક્રમ દંતાણી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ થોડા દિવસ પહેલાં અમદાવાદની મુલાકાત દરમ્યાન જેમના ઘરે રાતે જમવા માટે ગયા હતા એ રિક્ષાચાલક વિક્રમ દંતાણી ગઈ કાલે નરેન્દ્ર મોદીની જાહેર સભામાં કેસરી ખેસ અને ટોપી સાથે ઉપસ્થિત રહ્યો હતો.
ગઈ કાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી એમાં વિક્રમ દંતાણી કેસરી ટોપી અને ખેસ પહેરીને સભામાં ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે તમે અરવિંદ કેજરીવાલને તમારે ત્યાં જમવા બોલાવ્યા હતા અને હવે અહીં સભામાં આવ્યો છો ત્યારે વિક્રમ દંતાણીએ કહ્યું કે ‘અમે તો પહેલાંથી જ બીજેપીમાં જોડાયા છીએ. મોદીસાહેબના પહેલાંથી આશિક છીએ. હું આમ આદમી પાર્ટીમાં નથી. અરવિંદ કેજરીવાલને એક આમ નાગરિક તરીકે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ એમ જ આપ્યું હતું.’