કોવિડને લીધે થતા મૃત્યુને કારણે સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગતાં પરંપરા નાછૂટકે તોડવી પડી રહી છે
GMD Logo
છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન કોવિડ-19ના કેસમાં આવેલા જબ્બર ઉછાળાને કારણે કોવિડ-19 તેમ જ અન્ય રોગોથી મૃત્યુ પામનારાઓને અંતિમ સંસ્કાર માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. સામાન્યપણે હિન્દુઓમાં સૂર્યાસ્ત પછી અને રાતના સમયે મૃતદેહના અંતિમ સંસ્કાર વર્જ્ય છે, પરંતુ સ્મશાનગૃહમાં આવી રહેલા મૃતદેહોની સંખ્યામાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે હવે કેટલાક કિસ્સામાં તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી અને તેમના દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલાં સુરતના ઉમરા વિસ્તારમાં એક જ ચિતા પર એકસાથે પચીસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના વાડજ અને દૂધેશ્વર સ્મશાનગૃહ તેમ જ વડોદરામાં પણ લોકોને લાંબો સમય (લગભગ ૮-૯ કલાક) રાહ જોયા બાદ રાતના સમયે પોતાના સગાના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હોવાનું જણાવતાં વડોદરાની મ્યુનિસિપલ કમિશનની સ્થાયી સમિતિના ચૅરમૅન હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે કેટલાંક સ્મશાનગૃહોમાં મેટલ પાયર્સ ઉમેર્યા છે તેમ જ નિષ્ફળ ગયેલી સુવિધાઓ પણ ફરી શરૂ કરાઈ છે.