ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં દવા બનાવતી એક ફૅક્ટરીમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ (પી.ટી.આઇ.)ઃ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં દવા બનાવતી એક ફૅક્ટરીમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાંધીનગરના ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે કલોલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં આગ લાગી હતી. સવારે નવ વાગ્યાની આસપાસ આ આગ વિશે જાણકારી મળી હતી.
પાંચ ફાયર ટેન્ડર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગાંધીનગર ફાયર સ્ટેશનના અધિકારી કે. જે. ગઢવીએ જણાવ્યું હતું કે ‘અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને કડીમાંથી બીજા પાંચ કરતાં વધારે ફાયર ટેન્ડર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં.’
આ આગ લાગી હતી ત્યારે ફૅક્ટરીમાં કેટલાક કામદારો કામ કરતા હતા. જોકે, તેઓ સમયસર બહાર આવી ગયા હતા. તાજેતરમાં ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની કેટલીક ઘટનાઓ બની છે.