વ્યંડળોએ બીજેપી પાસે કરી ટિકિટની ડિમાન્ડ
છેલ્લાં અગિયાર વર્ષથી ગુજરાતમાં રાજ કરતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને આ ડિસેમ્બર મહિનાના ગુજરાતના ઇલેક્શનમાં કૅન્ડિડેટ શોધવામાં પરસેવો પડી જવાનો છે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં આવેલી ૧૮૨ વિધાનસભા બેઠક માટે બીજેપીના કુલ ૪૪૪૨ ઉમેદવારોએ ટિકિટ માગી છે. બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘ટિકિટ કોને આપવી એની સેન્સ લેવામાં આવી ત્યારે આટલા લોકોએ ડિમાન્ડ મૂકી છે, પણ સ્વાભાવિક રીતે અમે બેસ્ટ ઑપ્શન શોધીને આગળ વધીશું.’
ADVERTISEMENT
બીજેપી પાસે જે ૪૪૪૨ કાર્યકરોએ ટિકિટ માગી છે એમાં ૧૦૩૭ મહિલા કાર્યકરોને સમાવેશ થાય છે. આ ઉપરાંત ટિકિટ માગવામાં ૭૨ મુસ્લિમ કાર્યકરોએ ટિકિટ માગી છે. બીજેપી પાસે ટિકિટ માગવામાં ત્રણ વ્યંડળનો પણ સમાવેશ થાય છે.
એવું નથી કે બીજેપીના કાર્યકરોએ જ પાર્ટી પાસે ટિકિટની આ હદે માગ કરી હોય, કેશુભાઈ પટેલની જીપીપી પાસે પણ ૧૮૨ બેઠક માટે કુલ ૧૧૬૨ કાર્યકરોએ ટિકિટની માગ કરી છે. આ આંકડો ઓછો લાગતો હોય એમ કેશુભાઈ પટેલે તો હજી પણ વધુ કાર્યકરો ટિકિટની ડિમાન્ડ કરે. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘જો સારી વ્યક્તિ સક્રિય રાજકારણમાં સામેલ થતી હોય તો હું એમાં નિમિત્ત બનવા તૈયાર છું. જો મુંબઈ, કલકત્તા, દિલ્હીના ગુજરાતીઓને પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા હોય અને તેમનામાં લાયકાત હોય તો ૧૦ નવેમ્બર પહેલાં પાર્ટીની અમદાવાદની ઑફિસે કૉન્ટૅક્ટ કરે, જેથી ૧૧થી ૧૫મી તારીખ વચ્ચે થનારી પાર્લમેન્ટરી ર્બોડની મીટિંગમાં એનો નિર્ણય લઈ શકાય.’
ગઈ કાલે કેશુભાઈ પટેલે રાજકોટમાં સ્વીકાર્યું હતું કે છેલ્લા ત્રણ મહિના દરમ્યાન જીપીપીમાં ૧૫,૦૦,૦૦૦ લોકોએ પાર્ટીના સક્રિય સભ્ય બન્યા છે.
બીજેપી = ભારતીય જનતા પાર્ટી,
જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી