૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં ૧૮ મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે
ફાઈલ તસવીર
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી ()ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રે ૮ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ બેઠકમાં સ્પષ્ટતા કરી કે, ‘રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સહુના સહયોગને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસો ઘટાડવામાં સફળતા મેળવી છે’. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ૨૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,૫૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઈ ગયા છે.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી. પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર, રાજ્યના ૮ મહાનગરો સહિત જે ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફયુ ૧૧ મે ૨૦૨૧ સુધી રાખવામાં આવેલ તે ૧૨ મે ૨૦૨૧થી ૧૮ મે 2021 એમ સાત દિવસ માટે દરરોજ રાતના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.
રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કર્ફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક અઠવાડિયું લંબાવવાનો નિર્ણય કર્યો છે, એમ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું.
આ શહેરોમાં છે રાત્રિ કર્ફ્યૂઃ
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જાનમનગર, આણંદ, મહેસાણા, પાટણ, દાહોદ, ગાંધીધામ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, નડિયાદ, મોરબી, ગોધરા, ભૂજ, સુરેન્દ્રનગર, ભરુચ, અમરેલી, હિંમતનગર, પોરબંદર, પાલનપુર, બોટાદ, નવસારી, વિરમગામ, વલસાડ, છોટાઉદેપુર, મોડાસા, વેરાવળ-સોમનાથ, રાધનપુર, ડીસા, કડી, અંકલેશ્વર, વિસનગર, વાપી