નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીસ્તાના કૅમ્પેન પાછળ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનો હાથ હોવાનો બીજેપીનો આક્ષેપ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને મુદ્દે હવે બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. બીજેપીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોને લઈને રાજ્યના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ તીસ્તાના કૅમ્પેન પાછળ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનો હાથ હતો. હવે ગઈ કાલે કૉન્ગ્રેસે આ આરોપને ફગાવ્યા છે.
બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં આરોપ મૂક્યો હતો કે ‘કૉન્ગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે, ખાસ કરીને એના શિક્ષણ મંત્રાલયે સેતવલાડની એનજીઓને ૧.૪ કરોડ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા મોદી વિરુદ્ધ કૅમ્પેન ચલાવવા અને ભારતને બદનામ કરવા માટે ખર્ચાયા હતા. તેમણે કહ્યું હતું કે ‘તે (સેતલવાડ) એકલી નહોતી. ચાલકબળ કોણ હતું? સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસ પાર્ટી.’
હવે એના વિશે કૉન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટર પર જણાવ્યું કે ‘તીસ્તા સેતલવાડે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા મુજબ કર્યું હોવાનો બીજેપીનો આરોપ સંપૂર્ણપણે બોગસ અને પાયાવિહોણો
છે. કૉન્ગ્રેસ પાર્ટી મક્કમતાથી આ આરોપને વખોડે છે. આ આરોપ એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના તિરસ્કારનો સીધો મામલો છે.’