વરસતા વરસાદ વચ્ચે પાવાગઢનાં પગથિયાં સડસડાટ ચડીને શ્રી કાલિકા માતાના મંદિરે પહોંચ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
પાવાગઢ પહોંચેલા નરેન્દ્ર મોદી પગથિયાં ચડીને મંદિરમાં દર્શન કરવા ગયા હતા
શક્તિપીઠ પાવાગઢમાં ગઈ કાલે પડેલા હળવા વરસાદ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮૦ પગથિયાં ચડીને શ્રી કાલિકા માતાના મંદિરે પહોંચ્યા હતા અને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચન કરી દર્શન કર્યાં હતાં.
શ્રી કાલિકા માતાજી મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્રભાઈ પાવાગઢના મંદિરે મૉડિફાય કરેલા રોપવેમાં આવ્યા હતા. આ રોપવેનો મંદિરના કામ માટે ઉપયોગ થાય છે. એ માટે જરૂરી મંજૂરી પણ લેવામાં આવી હતી. રોપવેમાં બેસીને તેઓ ગઢ પર આવ્યા હતા અને ત્યાંથી મંદિરે આવવા માટે ૮૦ પગથિયાં ચડ્યા હતા. તેઓ જ્યારે મંદિરે આવ્યા ત્યારે અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે રવાના થતા હતા એ વખતે વરસાદના છાંટા પડ્યા હતા અને જાણે વરસાદે કાર્યક્રમનાં અને નરેન્દ્રભાઈનાં વધામણાં કર્યાં હોય એવો માહોલ રચાયો હતો.’
ADVERTISEMENT
પાવાગઢ મંદિરે પહોંચવા માટે રોપવે અમુક અંતર સુધી જાય છે, ત્યાર પછી મંદિર સુધી જવા માટે પગથિયાં ચડવાં પડે છે ત્યારે ગઈ કાલે નરેન્દ્ર મોદી પહેલાં મૉડિફાય કરેલા રોપવેમાં બેઠા હતા અને ત્યાર બાદ સ્ફૂર્તિ સાથે પગથિયાં ચડ્યા હતા.