વૈતરણા ખાડીના કિલર બ્રિજે ફરી એકનો લીધો જીવ
મૃતક પ્રીતમ પાટીલ
. ઉલ્લેખનીય છે કે એક એપ્રિલથી લઈને અત્યાર સુધી કિલર બ્રિજને કારણે પાંચ બનાવ બન્યા છે. જ્યારે કે વેસ્ટર્ન રેલવે દ્વારા આ કિલર બ્રિજ પર મેટલ વૉકવે બાંધવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં તેનો ઉપયોગ ફક્ત રેલવેના મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે.
વાધિવ ગામનો ૨૦ વર્ષનો રહેવાસી પ્રીતમ પાટીલ ગઈ કાલે સવારે વૈતરણામાં ડૉક્ટર પાસે ગયો હતો. ટ્રૅક પર ચાલીને તે પોતાના ઘરે જઈ રહ્યો હતો એ વખતે વર્ષ ૧૯૭૬માં બાંધેલો બ્રિજ ક્રમાંક ૯૨ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પ્રીતમે ડાઉન સેશન (મુંબઈ તરફ) જતી ટ્રેન આવી રહેલી જોઈ હતી. એથી તે ગભરાઈ ગયો અને તે અપ સેશન (અમદાવાદ તરફ) જતાં ટ્રૅક પર જતો રહ્યો હતો. જો કે એ વખતે ૧૨૪૯૩ ડાઉન પુણે હઝરત નિઝામુદ્દીન દર્શન એક્સપ્રેસ આવી રહી હતી અને એમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રીતમને એક્સપ્રેસે અડફેટમાં લેતાં તેના શરીરના અસંખ્ય ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક પ્રવાસીઓએ પાલઘર જીઆરપીને સંપર્ક કરીને બનાવ વિશે જાણ કરી હતી. પાલઘર જીઆરપીના જણાવ્યા પ્રમાણે ‘પ્રીતમ ઘર ચલાવવા નાનું-મોટું કામ કરતો હતો અને તે બેચલર હતો. જીઆરપી દ્વારા એક્સિડેન્ટલ કેસ નોંધીને ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. થોડા દિવસો પહેલાં ૬૦ વર્ષની બેબી ભોઈરે પણ વૈતરણા ખાડી બ્રિજ ક્રોસ કરતી વખતે હવા અને વરસાદના કારણે બેલેન્સ જતાં જીવ ગુમાવ્યો હતો અને પ્રીતમ બેબી ભોઈરનો દૂરનો સંબંધી પણ હતો.’
જ્યારે કે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર રવીન્દ્ર ભાકરના કહેવા પ્રમાણે ‘વેસ્ટર્ન રેલવે રૂટ પર ૩૦ બ્રિજ પર મેટલ વૉકવે બેસાડવામાં આવશે જેનો લગભગ ૨૫ કરોડ રૂપિયા ખર્ચો છે. વૈતરણા બ્રિજ પર મેટલ વૉકવે બનાવવા માટે ૧.૩૯ કરોડ રૂપિયા ખર્ચો આવશે અને વર્ષ ૨૦૨૦માં તેનું કામ પૂરું થાય એવી શક્યતા છે પરંતુ આ વૉકવે મેઇન્ટનન્સ સ્ટાફ માટે હશે અને એના પરથી કોઈ ચાલતું દેખાશે તો કાર્યવાહી થશે.’