ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ રહેતાં યુવા પેઢી બરબાદ થાય છે : અશોક ગેહલોત
File Photo
(જી.એન.એસ.) કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ, બેરોજગારી, મંદી, જીએસટી, પાક વીમા યોજના જેવી બાબતો સામે આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન ગુજરાત કૉન્ગ્રેસ દ્વારા કરાયું છે. જેને જનવેદના આંદોલન નામ અપાયું છે. જેમાં પ્રદેશપ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત કૉન્ગ્રેસના જનવેદના આંદોલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત રાજ્ય સરકાર અને બીજેપી પર પ્રહાર કર્યા. અમદાવાદ અૅરપોર્ટ આવી પહોંચ્યા હતા. અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીત કરતાં જણાવ્યું કે નોટબંધી દેશને બરબાદ કરી દેશે તેવી ડૉ. મનમોહનજીને આશંકા હતી તે જ થઈ રહ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે એ વાતની સમજ એનડીએ સરકારને-નરેન્દ્ર મોદીને ન આવી. દેશની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે જેથી દેશભરમાં કૉન્ગ્રેસ રસ્તા પર આંદોલન માટે ઊતરી છે. દરેક જગ્યાએ સફળતા મળી રહી છે.
યુવાનો બેરોજગાર બની રહ્યા છે, નોકરીઓ ઘટી. મોંઘવારી વધી, કાંદાના ભાવ આસમાને જઈ રહ્યા છે. જોરશોરથી સરકાર ગુજરાતમાં બની પણ ખેડૂતોના હાલ બેહાલ છે. રાજકોટની એક સ્કૂલમાં દારૂનો જથ્થો મળી આવવા મામલે તેમણે જણાવ્યું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે શરાબ પીવાનું અહીં ચલણ છે, ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાને મારા નિવેદનને સમજીને અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરવાની જરૂર હતી. દારૂની એન્ટ્રી બંધ કરવાની જરૂર હતી, પરંતુ મારા નિવેદનને તોડીમરોડીને પ્રસ્તુત કરાયું. ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. જેને કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે.