યોગી સરકારનો યુ-ટર્ન
ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં કરેલી પોતાની જાહેરાત પર યુટર્ન લઈ લીધો છે. એમાં તેમણે જણાવ્યું હતું કે જો અન્ય રાજ્યો ઉત્તર પ્રદેશના શ્રમિકોને રોજગારી આપે છે તો તેમણે યુપી સરકારની મંજૂરી લેવાની રહેશે. આ મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. જોકે હવે સરકારે પ્રવાસન આયોગના ઉપનિયમોમાં પૂર્વમંજૂરીના આ નિયમને સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે.
આ વિશે સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યમાં પાછા ફરેલા પ્રવાસી મજૂરોને નોકરી અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે આયોગની રચના કરવાનું કામ થઈ રહ્યું છે. પ્રવાસન આયોગને શ્રમિક કલ્યાણ આયોગ નામ આપવામાં આવ્યું છે. લગભગ ૨૬ લાખ પ્રવાસીઓ પહેલાં જ રાજ્યમાં પાછા પાછા ફર્યા છે. હવે તેમની કુશળતાને ધ્યાનમાં રાખીને તેમને કામ અને નોકરી મેળવવા મદદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્ય પ્રધાને આયોગની સ્થાપના માટેની રૂપરેખા પર ચર્ચા કરી છે. આ સાથે જ અન્ય રાજ્યોને અમારી જનશક્તિને રોજગાર આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારની પૂર્વમંજૂરી લેવાની કોઈ જરૂરિયાત નહીં રહે. અમે પ્રવાસીઓને ઘર અને લોન વગેરે આપવા માટે તેમને સરકારી યોજનાઓ સાથે પણ જોડીશું.