યસ બૅન્કનું ડૂબવું એ સરકારના ગેરવહીવટનું પરિણામ : પી. ચિદમ્બરમ
પત્રકાર પરિષદ દરમ્યાન ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ
યસ બૅન્ક સંકટને લઈને કૉન્ગ્રેસના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે યસ બૅન્કનું ડૂબવું એ વર્તમાન સરકારની દેખરેખ હેઠળ નાણાકીય સંસ્થાઓના ગેરવહીવટનું પરિણામ છે. યસ બૅન્કે લોનનું વિતરણ કેવી રીતે કર્યું એના પર આરબીઆઇ અને સરકારનું મૌન સવાલો ઊભા કરે છે. છેવટે આરબીઆઇ અને નાણામંત્રાલયે પહેલાં એના વિશે કેમ વિચાર્યું નહીં. તેમણે કહ્યું કે સરકાર અને નાણાપ્રધાને યસ બૅન્કના પતનને લોકો અને મીડિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાણાકીય સંસ્થાઓનો ગેરવહીવટ લોકો સમક્ષ આવી રહ્યો છે.
પી. ચિદમ્બરમે રણદીપ સુરજેવાલા સાથેની એક પત્રકાર પરિષદમાં કહ્યું કે નાણાપ્રધાન, મને કહો કે યસ બૅન્કની લોન કેવી રીતે ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે પાંચ ગણી વધી. આ હું તેમની લોનબુક પરથી કહી રહ્યો છું. માર્ચ ૨૦૧૪માં લોનબુકની રકમ ૫૫,૦૦૦ કરોડ હતી જે માર્ચ ૨૦૧૯માં વધીને બે લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. માત્ર બે વર્ષમાં એ ૯૮,૦૦૦ કરોડથી બે લાખ કરોડ રૂપિયા કેવી રીતે પહોંચ્યું.
ચિદમ્બરમે કહ્યું કે નાણાપ્રધાન યુપીએની સત્તાની વાત કરે છે અને હું નાણાપ્રધાન છું. ૨૦૧૪ પહેલાં વાત અવગણો, પરંતુ ઓછામાં ઓછું અમને કહો કે યસ બૅન્કને ૨૦૧૪ પછી લોનનું વિતરણ કરવાની મંજૂરી કોણે આપી હતી. શું કૉન્ગ્રેસે આ કર્યું? યસ બૅન્કને બચાવવા માટે ચિદમ્બરમે એસબીઆઇના ૪૯ ટકા શૅર ૨૪૫૦ કરોડ રૂપિયામાં ખરીદવા જણાવ્યું હતું. આ યોજનાને બદલે યસ બૅન્કનું ટેકઓવર કરવામાં આવે અને એસબીઆઇની ખરાબ લોનબુક વધારવામાં આવે.