યશવંત સિંહાએ પણ માગ્યું ગડકરીનું રાજીનામું
ADVERTISEMENT
બીજેપીમાં પાર્ટીના પ્રમુખ નીતિન ગડકરીના રાજીનામાની ડિમાન્ડ ગઈ કાલે વધુ તેજ થઈ હતી. બીજેપીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ કાલે ગડકરીના રાજીનામાની માગણી કરી હતી. આ પહેલાં રામ જેઠમલાણી અને મહેશ જેઠમલાણી તથા કર્ણાટકના મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટર પણ ગડકરીના રાજીનામાની જાહેરમાં માગણી કરી ચૂક્યા છે. નીતિન ગડકરી તેમની કંપની પૂર્તિ સુગર ઍન્ડ પાવર લિમિટેડમાં બેનામી રોકાણોને લઈને વિવાદમાં ઘેરાયેલા છે. ગઈ કાલે બીજેપીએ ફરી એક વાર ગડકરીને સપોર્ટ કરતાં તેમના રાજીનામાની યશવંત સિંહાની માગણીને અયોગ્ય ગણાવી હતી.
સિંહાની ઇમોશનલ અપીલ
યશવંત સિંહાએ અત્યંત ઇમોશનલ થઈને ગડકરીના રાજીનામાની ડિમાન્ડ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પાર્ટીમાં ઉપલબ્ધ ફોરમ દ્વારા કરેલા પ્રયાસોનું કોઈ પરિણામ આવ્યું નહીં તેથી હું ભારે પીડા અને દુ:ખની લાગણી સાથે રાજીનામાની માગણી કરતું સ્ટેટમેન્ટ આપું છું. મને વિશ્વાસ છે કે જે મુદ્દો હું ઉપાડી રહ્યો છું તેમાં દમ છે. કમનસીબે મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ પાર્ટીએ મુદ્દે કોઈ પગલું ભર્યું નહીં. અમારા પાર્ટીપ્રમુખ દોષી છે કે નહીં એ મુદ્દો નથી, મુદ્દો માત્ર એટલો જ છે કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ શંકાથી પર હોવી જોઈએ.’
વધુમાં યશવંત સિંહાએ કહ્યું હતું કે ‘શ્યામાપ્રસાદ મુખરજી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણી દ્વારા સ્થાપિત કરવામાં આવેલાં ઉચ્ચ ધોરણોનું કોઈ પણ કિંમતે પાલન થવું જોઈએ.’
ફરી ઍન્ટિ-ગડકરી જુવાળ?
ગડકરીની કંપની પૂર્તિ ગ્રુપના બૅલેન્સ શીટ અને અકાઉન્ટ્સની ચકાસણી કર્યા બાદ આરએસએસના નેતા અને ચાર્ટડ અકાઉન્ટન્ટ એસ. ગુરુમુર્તિએ બીજેપી પ્રમુખને ક્લીનચિટ આપી હતી. એ પછી પાર્ટીમાં ગડકરી વિરુદ્ધનું અભિયાન શમી જશે એવી અટકળો વહેતી થઈ હતી, પણ ગઈ કાલે યશવંંત સિંહાએ ફરી ગડકરીની ડિમાન્ડ કરતાં આ અભિયાન ફરી જોર પડકશે એવી શક્યતા છે. ખાસ કરીને ૨૨ નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એ પહેલાં જ સિંહાએ કરેલા ધડાકાને કારણે બીજેપીની હાલત કફોડી બની છે.
પાર્ટી ફરી ગડકરીના પડખે
યશવંત સિંહાની ગડકરીના રાજીનામાની જાહેરમાં માગણી બાદ પાર્ટી ફરી એક વાર ગડકરીની પડખે રહી હતી. ગઈ કાલે બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સિંહાની માગણીને અયોગ્ય ગણાવતાં કહ્યું હતું કે ‘યશવંત સિંહા પાર્ટીના સિનિયર નેતા છે અને પાર્ટીનું દરેક ફોરમ તેમના માટે ઉપલબ્ધ છે. તેમણે જાહેર કરેલા સ્ટેટમેન્ટને પાર્ટી અયોગ્ય માને છે. આશા છે કે તેઓ આ નિવેદન પર પુનર્વિચાર કરશે.’