ચીનના લશ્કરમાં જલદી મોટા ફેરફાર કરી શકે છે જિનપિંગ
શી જિનપિંગ
ભારતીય સેનાનું પરાક્રમ જોયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારની ટીકા સહન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીના તે કમાન્ડરથી નારાજ છે, જેમણે પૅન્ગૉન્ગના દક્ષિણ વિસ્તારમાં સેનાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. સમાચાર મળી રહ્યા છે કે જિનપિંગ જલદી સેનામાં મોટા ફેરફાર કરી શકે છે. લદાખના પૅન્ગૉન્ગ વિસ્તારમાં ૨૯-૩૦ ઑગસ્ટની રાત્રે ભારતીય સેનાએ ઘૂસણખોરી કરતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. તેમના સૈનિકોના આ રીતે મેદાનમાંથી ભાગવાની વાત જ્યારે જિનપિંગ સુધી પહોંચી તો તે નારાજ થયા હતા.
ચીન કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સેનાથી તેમની નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે આ પ્રથમ વખત નથી, જ્યારે ભારતીય સેનાએ ચીનને વળતો જવાબ આપ્યો છે. ૧૫ જૂનના ગલવાન ખીણ હિંસામાં પણ ચીનની સેનાએ મોટું નુકસાન ઉઠાવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે એ દિવસે રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમનો ૬૭મો જન્મદિવસ ઊજવી રહ્યા હતા અને તેમને મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતા.