હું નારાજ નથી, પણ હાલમાં શપથ ગ્રહણ નહીં કરું : અજિત પવાર
અજિત પવાર
મુખ્ય પ્રધાનપદની શપથવિધિની સાથોસાથ માત્ર એનસીપીના નેતા છગન ભુજબળ અને જયંત પાટીલની શપથવિધિ થઈ હતી. ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એવી રીતે માત્ર ૩ દિવસ માટે બીજેપીને ટેકો આપીને પાછા ફરેલા અજિત પવારે શપથ નહોતા લીધા. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘હું નારાજ નથી, પણ હમણાં મારે પ્રધાનપદના શપથ નથી લેવા.
બંડખોરી કરીને બીજેપી સાથે હાથ મિલાવીને સરકાર સ્થાપનારા અને એકલા પડી ગયા બાદ રાજીનામું આપીને પાછા ફરેલા અજિત પવારની નારાજગી હજી પણ કાયમ હોવાની ચર્ચા ચાલી રહી છે. નવી સરકારમાં એનસીપીને અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ આપવું એવો શરૂઆતથી જ તેમનો આગ્રહ રહ્યો છે. જોકે ઉદ્ધવ ઠાકરે પૂરાં પાંચ વર્ષ મુખ્ય પ્રધાન રહેશે એવું નક્કી થયું છે.
જોકે એનસીપીને ડેપ્યુટી સીએમપદ અને કૉન્ગ્રેસને વિધાનસભાનું અધ્યક્ષપદ એવી વહેંચણી થઈ હોવા છતાં અજિત પવાર અઢી-અઢી વર્ષની ફૉર્મ્યુલા પર અડગ છે. આને કારણે જ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓકમાં એનસીપીના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ ચર્ચા પછી અજિત પવારે પત્રકારો સમક્ષ પોતાની નારાજગી સ્પષ્ટ કરી હતી.