વ્હાઇટ હાઉસે PMને ફૉલો અને હવે અનફૉલો કેમ કર્યા? અમેરિકાએ કરી સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
જે સમયે વિશ્વની મહાશક્તિ અમેરિકા કોરોના વાયર મહામારી સામે લડી રહી છે અને સંકટના સમયે ભારતે તેની મદદ કરી, દરમિયાન બન્ને દેશો વચ્ચે ટ્વિટર એક મુદ્દો બની ગયો છે. વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય ભારતીય ટ્વિટર હેન્ડલને અનફૉલો કરી દેવામાં આવ્યા, જેના પર ભારતમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા. હવે વ્હાઇટ હાઉસે આ આખા વિવાદ પર જવાબ આપ્યો છે.
વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ કોઇ દેશના પ્રવાસે જાય છે, તે સમયે વ્હાઇટ હાઉસ તરફથી તે દેશોના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટને ફૉલો કરવામાં આવે છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા, ત્યારે વ્હાઇટ હાઉસે પીએમ નરેન્દ્ર મોદી સહિત અન્ય ટ્વિટર હેન્ડલ પણ ફૉલો કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસના એક અધિકારી પ્રમાણે, વ્હાઇટ હાઉસ ફક્ત અમેરિકન સરકાર સાથે જોડાયેલા ટ્વિટર હેન્ડલને ફૉલો કરે છે. પણ રાષ્ટ્રપતિની કોઇપણ દેશમાં વિઝિટ દરમિયાન તે દેશના પ્રમુખને ફૉલો કરવામાં આવે છે, જેથી મેસેજ સતત રિટ્વીટ થઇ શકે. વ્હાઇટ હાઉસના અધિકારીનું કહેવું છે કે એક રૂટીન પ્રોસેસ છે.
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસ દ્વારા કેટલાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. વડાપ્રધાન કાર્યાલય, ભારતીય દૂતાવાસ, ભારતમાં અમેરિકન દૂતાવાસ જેવા ટ્વિટર હેન્ડલને ફૉલો કરવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસ દ્વારા ફૉલો કરવામાં આવતા આ એકમાત્ર વિદેશી ટ્વિટર હેન્ડલ હતા. પણ બુધવારે આ બધાને અનફૉલો કરી દેવામાં આવ્યા, જેને લઇને ભારતમાં વિવાદ ઊભો થયો છે.
કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આને લઇને તંજ કસ્યો અને વિદેશ મંત્રાલયને અપીલ કરી હતી કે તે આ મામલો અમેરિકા સામે ઉઠાવે.
નોંધનીય છે કે વ્હાઇટ હાઉસનું ટ્વિટર હેન્ડલ આ સમયે ફક્ત 13 લોકોને ફૉલો કરે છે, જે અમેરિકન સરકારના શીર્ષ લોકોના હેન્ડલ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા ઑફિશિયલ પ્રવાસ પર ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા. અહીં અમદાવાદ, આગ્રા અને નવી દિલ્હીમાં ટ્રમ્પનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.