શરદ પવાર આક્રમણકારી બાબરને નામે મસ્જિદ બાંધવાના શા માટે આગ્રહીઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે ટ્રસ્ટની રચના કરાઈ એ રીતે મસ્જિદ બાંધવા માટે પણ ટ્રસ્ટ રચવાની એનસીપીના નેતા શરદ પવારની માગણી તરફ બીજેપી તરફથી તીવ્ર પ્રત્યાઘાત વ્યક્ત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘બાબર (મોગલ સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ) આક્રમણકારી હતો. એના નામે મસ્જિદ બાંધવાનો આગ્રહ એનસીપીના નેતા શરદ પવાર શા માટે કરે છે? મુસલમાનો નમાઝ માટે ખુશીથી મસ્જિદ બાંધી શકે, પરંતુ બાબરને નામે શા માટે મસ્જિદ બાંધવી જોઇએ?’
શરદ પવારે ગઈ ૨૦ ફેબ્રુઆરીએ લખનઉમાં અયોધ્યામાં રામમંદિરની માફક મસ્જિદ બાંધવા માટે પણ ટ્રસ્ટની રચનાની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. એ માગણીના અનુસંધાનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘બાબરના નામે મસ્જિદ બંધાવવા પવારસાહેબ આટલા ઉત્સુક શા માટે છે? વળી મસ્જિદ બાંધવા માટે વકફ સ્થાપવાની જરૂર હોવાનું જાણતા હોવા છતાં પવારસાહેબ ટ્રસ્ટ રચવાની માગણી શા માટે કરતા હશે એનું મને આશ્ચર્ય થાય છે.’