સ્વતંત્રતા દિવસ નિમિત્તે મનની આઝાદીની સાંકળો અને મુક્તિ વિશે વાત
પ્રતીકાત્મક તસવીર
હમણા જ એક શોર્ટ ફિલ્મ જોઇ. ઘણા સીન પર આસું આવી જાય એટલી સંવેદનશીલ ફિલ્મ.
એક માતા અને દીકરીનાં સંબંધને અદ્ભૂત રીતે ચરિતાર્થ કર્યો છે.ફિલ્મની ઍક્ટ્રેસ બાળપણમા સ્કુલમાં લાંચબોક્સની ચોરી કરતાં પકડાય જાય છે. ત્યારે ઍની માતા સજા રૂપે એને સ્કુલના પ્રિન્સીપાલ સામે જ ફટકારે છે. ધીમી ધીમે દિકરીનો માતા પ્રત્યે ગુસ્સો અને ધૃણા વધતી જાય છે. જૉડે જોડે ભૂલ કરવાની હિંમત પણ વઘતી જાય છે.અંતે એક્ટ્રેસની માતા એને ઘરની બહાર કાઢી મુકે છે આગળ જતાં એ ડ્રગ માફિયા તરીકે પોલીસનાં સકંજામાં સપડાઇ જાય છે.ને એને આજીવન કારાવાસની સજા મળે છે. માતાને આ વાતની ખબર પડે છે એટ્લે એ દીકરીને જેલમા મળવા દોડી જાય છે. પણ દીકરી માતાને ઓળખવાનો ઈન્કાર કરી દે છે. અંતે માતા ની કાકલૂદી સામે એ ભાંગી પડે છે. દીકરીનો ઍક જ પ્રશ્ન હોય છે કે "માં" તે મારી બાળપણની એ નાનકડી ભૂલ ને માફ કરી દીધી હોત. તો હુ કદાચ આજે તારી સાથે હોત અને ત્યાં ફિલમ પૂરી થાય છે.
ADVERTISEMENT
15 ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે જો ભૂલો કરવાની આઝાદી માનવીને ન હોય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. આજે ,ગાંધીજીના પગલે ચાલનાર લોકોની સંખ્યા તો બહુ જુજ રહી ગઈ છે.આપણામાંથી ઘણા બધા લોકો આટલા વર્ષો પછી પણ માનસિક ગુલામીમાં યંત્રવત્ જીવી રહ્યા છે. એના મૂળમાં કયાંક ને કયાંક નાનપણથી થોપવામાં આવતી માન્યતા હૉય છે. જે માણસ ભૂલ કરે એણે સજા ભોગવવા તૈયાર રહેવું એવો નિયમ આપણાં સમાજે બનાવ્યો છે.
એક ઉદાહરણ તરીકે કોઈ 14-15 વર્ષનો બાળક ચોરીછૂપીથી સિગરેટ પીતો હોય અને અચાનક પકડાઈ જાય ત્યારે એને સજા આપવાના બદલે એને જો પ્રેમથી કદાચ એવું પૂછવામાં આવે કે તને આ સિગરેટ પીવાની બહુ મજા આવે છે.? જો તારે આવી મજા લેવી જ હોય તો લાવ બે સિગરેટ હું તને લાવી આપું. શક્ય છે કે એ પોતાની ભૂલ બદલ શરમ અનુભવે.જો ભૂલો કરવાની આઝાદી એને મળી હોત તો ચોક્કસ પસ્તાવો થાય અને કદાચ ભવિષ્યમાં આ ભૂલ ફરીપાછી ન થાય એનું એ ધ્યાન પણ રાખે. માણસનું આત્મબળ જ એને ભીતરથી બદલી શકે છે. નહીં કે ,બાહ્ય દબાણ કે સજા. માનવીનેભૂલકરવાની આઝાદી મળે અને એની આસપાસ એવુ વાતાવરણ હૉય તો એ પોતાની ભૂલ સુધારી શકે એવી શક્યતા ઘણી મોટી છે.
પ્રત્યેક વ્યક્તિ, સંજોગો, સંસ્કાર અને સામાજિક દબાણ હેઠળ માનસિક ગુલામીમાં જીવતો હોય છે પરંતું એને પોતાને એ ખબર જ નથી પડતી કે જાણ્યે અજાણ્યે એ યુગોથી ચાલતી આવેલી માન્યતાઓ , પૂર્વગ્રહ, અને પરંપરાની કાંટાળી વાડમાં જડબેસલાક જકડાઈ ચુક્યો હોય છે. એટલે જ્યાં સુધી મનની આઝાદી નહીં હોય ત્યાં સુધી જીવવાની મજા જ કેવીરીતે અાવે?
અમુક લોકો માટે તો નાની નાની વાતો અને પ્રસંગોને માણવા માટે પણ પોતાનાં મનની આઝાદી નથી હોતી. એટલા માટે જ વેકઅપ સીડ, વીર દે વેડિંગ, ફોર મોર શૉટ અને આર્યા જેવી ફિલ્મો અને વેબ સિરિઝો આપણને આકર્ષે છે. જ્યાં પ્રતિબંધ હૉય ત્યાં નિયમો હોય જ.એટલેજ તો તોડવાની મજા આવે. મનની આઝાદી ભોગવવા માટે તો પહેલા નિર્ભિક બનવું પડે. અસલામતીના આવરણોને હટાવવા પડે. જ્યારે અમૂક વ્યકિત ભૂલો કરતી હોય ત્યારે એ પોતે જ એના ઉપર એક પડદો ઢાંકી રાખે. કયાંક મારી આ ભૂલ લોકોની સામે છતી થઇ જશે તો ? અરે ભલા જયારે ખુદમાં જ પોતાની ભૂલ સ્વિકારવાની હીંમત ન હોય પછી એ વરસો સુધી ગિલ્ટમાં જીવ્યા કરે. પોતાની અંગત વ્યક્તિ પરિવાર કે સામાજિક હિતને કોઈ નુકસાન ન પહોંચતું હોય એવી આઝાદી હોવી જ જોઈએ. આવી મનની આઝાદી એક પ્રકારનો છૂપો આનંદ આપે છે અને આ છૂપો આનંદ માનવીની જીવવાની જિજીવિષા બળવત્તર બનાવે છે. એનો અર્થ એ પણ નથી કે,દેખાદેખી,બદલાની ભાવના અને હિંસાપૂર્વક થયેલા કર્મોને આઝાદી માની લેવાય.ભૂલ કરે તો પછી એની જવાબદારી પણ એણે પોતે લેવાની હિંમત રાખવી પડે. મનની આઝાદી ઍટલે એવુું નહી કે કંઈ પણ કરી શકાય!
મન તો ગમે ત્યારે ઊડી જઈને પંખીની માફક એક ડાળથી બીજી ડાળ પર બેસી જાય પણ મનને થોડું મઠારવું પડે અને કેળવીને એને છૂટ્ટુ મૂકવામાં આવે તો જ આઝાદીનો ખરો અર્થ સમજાય.સ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી.પરંતુ આકાશમાં ઊડતા પંખી જેવી હળવાશ લઈને જો જીવવા મળતું હોય તો એનાથી ઉત્તમ શું? આપણને પોતપોતાની જિંદગીના નિતીનિયમો નાનપણથી પરિવાર તરફથી વારસામાં મળે છે. પણ હવેનો સમય અલગ છે. આજની પેઢીને કેદખાનું બિલકુલ પસંદ નથી. એમને જોઈએ છે મનની, તનની અને રુપિયાની આઝાદી. નવી જનરેશન આ આઝાદી જોશથી ,ઉમંગથી ભોગવે છે. પણ આ આઝાદી ક્યારેક સ્વચ્છંદતામાં પલટાઈ જાય એનો અણસાર એમને હોતો નથી.
જીવન કેવી રીતે જીવવું એવા કોઈ નીતિનિયમો નથી. ભૂલ કરતી વખતે ઠોકર વાગે ને પડી પણ જવાય.ક્યારેક ઉઝરડા પડે પણ ભીતર જો હિમંત હોય તો આ ઉઝરડાઓ ઘણુબધું શિખવી જાય છે.જે જૂનું પકડી રાખ્યું છે એને ધીમે-ધીમે પરિસ્થિતિ પ્રમાણે છોડતાં જવું. મનની આઝાદી માટે તો અનેક વિકલ્પો ખુલ્લા હોય છે. પરંતુ આ આઝાદી ભોગવતા હિંસા કે પ્રકૃતિ વિરુદ્ધનું કર્મ કરીને તમે એમ ના કહી શકો કે આતો મારી આઝાદી છે.! કારણકે આઝાદી ક્યારેય બોજારૂપ કે ભારરૂપ નથી હોતી.