સુધા મૂર્તિ મંદિરની બહાર શા માટે વેચે છે શાકભાજી?
સુધા મૂર્તિ
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચૅરપર્સન અને ઇન્ફોટેક કંપની ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિનાં પત્ની સુધાજી શાકભાજી વેચતાં હોવાની તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મશહૂર બની છે. પ્રથમ દૃષ્ટિએ આશ્ચર્યનો વિષય બનતી એ તસવીર બૅન્ગલોરના જયાનગર વિસ્તારના રાઘવેન્દ્ર સ્વામી મઠની છે. સુધાજીને સિખ ધર્મની કારસેવાના સિદ્ધાંતમાં ઘણી આસ્થા છે એથી તેઓ વર્ષમાં રાઘવેન્દ્ર આરાધનોત્સવના ત્રણ દિવસ દરમ્યાન પરોઢિયે ચાર વાગ્યે જાગીને મંદિરમાં સેવા આપવા પહોંચી જાય છે. ઠાકોરજીની હવેલીમાં જેમ શાકભાજીના મનોરથ હોય છે એમ રાઘવેન્દ્ર મંદિરમાં શાકભાજીની સેવા હોય છે. એ સેવા સ્વીકારીને ખુશખુશાલ થઈ ગયેલાં સુધા મૂર્તિજીની તસવીરો અખબારો ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ પ્રકાશિત થઈ રહી છે. એ તસવીરો દ્વારા નૈતિક મૂલ્યો અને માનવતાની સામે સામાજિક મોભાનું મહત્ત્વ ઓછું હોવાનો સંદેશ સુધા મૂર્તિજી આપવા માગે છે.