ચીનમાં તો સસલાં અને ઉંદરોએ ફેલાવ્યો કોરોના
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) નિષ્ણાતોનું કહેવું છે કે તેમની તપાસમાં એ બાબતનો ખુલાસો થયો કે વુહાનમાં વેચાતાં સસલાં અને ઉંદરની પ્રજાતિના કેટલાક અન્ય જીવો દ્વારા એ માણસોમાં ફેલાયો હતો. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ રિપોર્ટમાં ડબ્લ્યુએચઓ નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં આ જીવો દ્વારા કોરોના ફેલાયો છે. ડબ્લ્યુએચઓની ટીમ લાંબા સમયથી કોરોનાના કેન્દ્ર વિશે જાણવામાં લાગી છે. એ ઉપરાંત એ શોધવાના કે જોવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આખરે એ પેદા કઈ રીતે થયો અને કઈ રીતે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો.
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ વુહાનની ઍનિમલ માર્કેટમાં આ જીવોની સપ્લાયની તપાસ કરવાની જરૂર છે. તેમનું કહેવું છે કે આખરે માર્કેટમાં કાયદેસર કે ગેરકાયદે રીતે જીવતાં કે મૃત પ્રાણીઓને વેચવામાં આવી રહ્યાં હતાં. વુહાનની ઍનિમલ માર્કેટમાંથી કોરોના વાઇરસ ફેલાયો હોવાની વાત પણ સ્પષ્ટ નથી, એટલું જ નહીં, શરૂઆતના રિપોર્ટમાં ચામાચીડિયા દ્વારા કોરોના ફેલાયો હોવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબતના કોઈ સંકેત મળ્યા નથી.