બીએમસી, કોવિડ કૅર સેન્ટર્સ માટેના ૩૦,૦૦૦ બેડ ક્યાં?
ખાલી મેદાન
મુંબઈ મહાનગરપાલિકા કોરોના કૅર સેન્ટર્સ અને હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા બાબતે મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય નાગરિકો એ સેવાઓ શોધવા એકથી બીજી હોસ્પિટલ વચ્ચે આંટાફેરા કરે છે. કોવિડ-19ના હળવાં લક્ષણો ધરાવતા પૉઝિટિવ દરદીઓ માટે કોરોના કૅર સેન્ટર્સ-2 (CCC2)માં ૩૦,૦૦૦ બેડ ઉપલબ્ધ હોવાના પાલિકાના દાવા ફકત કાગળ પર છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે જે સ્થળોને પસંદ કરવાની વાતચીત ચાલતી હતી, એ સ્થળોનું હજુ સુધી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી. પરંતુ મહાનગર પાલિકાનાં સૂત્રો એ બધાં સેન્ટર્સમાં બેડ ગોઠવાઈ ગયા પછી એકાદ દિવસમાં સક્રિય થઈ જશે.
એમ્બ્યુલન્સીસ હોસ્પિટલોના ફેરા મારે છે અને કેટલાક કિસ્સામાં બેડ નહીં મળતાં એ એમ્બ્યુલન્સીસ દરદીઓને એમના ઘરે પાછા મૂકીને આવી છે. ગયા અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે મહાનગર પાલિકા પાસે ૪૪,૦૦૦ બેડ છે. એમાં ૧૪,૦૦૦ બેડ હોસ્પિટલોમાં અને કોરોના ઇન્ફેક્શનના લક્ષણો હળવા હોય કે લક્ષણો જણાતા ન હોય એવા દરદીઓ માટે ૩૦,૦૦૦ બેડ CCC2માં છે. પરંતુ મિડ-ડેની તપાસમાં જાણવા મળ્યું હતું કે એમાંથી સાવ જૂજ સંખ્યામાં CCC2 કાર્યાન્વિત છે. મોટા ભાગના સેન્ટર્સ ફક્ત કાગળ પર છે. એ સ્થળોનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું નથી. સેન્ટર્સની યાદીમાં ૧,૦૦૦ બેડની ક્ષમતા ધરાવતા મરીન લાઇન્સના હિન્દુ જિમખાના અને ચેમ્બુરના સોમૈયા ગ્રાઉન્ડ જેવા ૨૨૫ સેન્ટર્સનો સમાવેશ છે. હિન્દુ જિમખાનાના બિલ્ડિંગ્સમાં ૧૦૦ કરતાં વધારે બેડના સમાવેશની શક્યતા નહીં હોવાનું ગિરગાંવનાં નગર સેવિકા રીટા મકવાણા કહે છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે ‘મુંબઈ મહાનગર પાલિકાએ કુલ ૨૯,૦૦૦ કરતાં વધારે બેડ સમાઈ શકે એવા સેન્ટર્સ માટેના ઉચિત સ્થળોની તારવણી કરી છે. સેન્ટરને જ્યારે તૈયાર કરવાનું હોય એના એક દિવસ પહેલાં બેડ ગોઠવવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના તીવ્ર લક્ષણો ધરાવતા ૪,૦૦૦ દરદીઓને CCC2માં રાખ્યા હતા. એમાંથી નિયમિત રીતે દરદીઓને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. એ પ્રમાણને ધ્યાનમાં રાખતાં હાલની એક્ટિવેટેડ કેપેસિટી સંતોષકારક છે. જ્યારે જરૂર પડે ત્યારે બેડનો નવો જથ્થો નેક્સ્ટ લોટ એક્ટિવેટ કરવામાં આવે છે. એકંદરે ૨૯,૪૪૨ બેડની કેપેસિટી બની રહેશે. ’