ડોમ્બિવલી જિમખાનામાં તૈયાર થતા કોવિડ કૅર સેન્ટરનું મૂરત ક્યારે?
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી જિમખાનામાં તૈયાર થનારી કેડીએમસીની કોવિડ- 19 કૅર સેન્ટરનું મૂરત ક્યારે આવશે એમ ડોમ્બિવલીકરો પૂછી રહ્યા છે. મૂળમાં ૧૫ જુલાઈએ એ ચાલુ થઈ જવાની હતી, પણ એ પ્રોજેક્ટ લંબાઈ જતાં હવે ૧૫ ઑગસ્ટે એનું ઉદ્ઘાટન કરાશે, એવું પણ સાંભળવામાં આવ્યું હતું, પરંતુ હવે એના પણ આસાર દેખાતા નથી, એમ ડોમ્બિવલીના એમએનએસ (મનસે)ના કાર્યકરોએ કહ્યું હતું. ત્યાં જઈ તેમણે તપાસ કરી તો એવી કોઈ જ તૈયાર દેખાઈ નહીં કે એ ૧૫ ઑગસ્ટે ખૂલી શકે. એથી તેમણે સંતપ્ત થઈ એ બાબતનો વિડિયો પાડી એને વાઇરલ કર્યો હતો. બીજી બાજુ કેડીએમસીનું કહેવું છે કે એ કોવિડ-19 સેન્ટર ૧૫ ઑગસ્ટે ચાલુ કરવા પ્રયત્નશીલ છે, એ બનાવવાનું કામ ચાલુ જ છે. હવે જ્યારે ૧૫ ઑગસ્ટને બે જ દિવસ બાકી છે ત્યારે એ કામ કઈ રીતે પૂરું થશે એ સવાલ કેડીએમસીના નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
ડોમ્બિવલી જિમખાનામાં હૉસ્પિટલ કેન્દ્ર સરકાર દ્વારા એ માટેની સહાય હેઠળ વૅન્ટિલેટર અને અન્ય સામગ્રીની સપ્લાય પણ કરવામાં આવી હતી, પણ ત્યાં હૉસ્પિટલને લગતું કોઈ જ કામ હાલમાં ચાલી નથી રહ્યું, કરોડો રૂપિયાના ખર્ચે બનનારી એ હૉસ્પિટલ કેમ અટકી ગઈ, ક્યાં કાચું કપાયું એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો. ત્યારે કેડીએમસીના મેડિકલ ઑફિસર ડૉક્ટર સમીર સરવણકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ કોવિડ સેન્ટર ૧૫ ઑગસ્ટે ચાલુ કરવાના અમારા પ્રયાસ ચાલુ જ છે. ૧૨૧ બેડની હૉસ્પિટલ તૈયાર થવાની છે, જેમાં ૭૦ બેડ આઇસીયુના છે, ૫૧ બેડ ઑક્સિજન ફેસિલિટ સાથેના છે, જ્યારે ૩ બેડ ડાયાલિસિસ સાથેના છે.’