Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે

અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે

16 December, 2019 03:37 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે

અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે


આ હકીકત છે.

પોતાના પરિવારની વાત આવે ત્યારે ગંભીરતાને આપોઆપ જ શિંગડાં આવી જાય છે. બળાત્કારીઓને પણ આ જ વાત લાગુ પડે છે. જો તમે હૈદરાબાદ કેસને ફૉલો કરતા હો તો અને એ કેસના સમાચાર નિયમિત વાંચતા હો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે ડૉક્ટર પર બળાત્કાર કરી તેમની હત્યા કરનારા ચાર પૈકીનો એક આરોપી પોલીસને વિનંતી કરી ચૂક્યો છે કે આ મારી ભૂલ છે, મારા પરિવાર સાથે લોકો ખરાબ વર્તન ન કરે એનું ધ્યાન રાખવામાં આવે. જરા વિચારો કે આ લાગણી, આ પ્રેમ અને હવે કાયદાએ પણ આ જ વાતને સહજ રીતે જોઈ લેવાની જરૂર છે.



વાત પોતાના પરિવારની આવે કે તરત ભલભલા ચમરબંધીઓના મોતિયા મરી જાય છે. બળાત્કારના આરોપસર પકડાયેલા આરોપીની સજામાં એક સજા એ પણ ઉમેરાવી જોઈએ જેમાં તેના પરિવારે સહન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. અહીં મને વધુ એક વખત ચોખવટ કરવી છે કે પરિવારનો વાંક નથી એ સૌકોઈ જાણે છે, પણ એમ છતાં પરિવાર દોષી છે એ પણ કબૂલ કરવાનું રહેશે. જો તમને તમારાં સંતાનોની વર્તણૂક કે પછી તેની સોબતનો અણસાર જ ન હોય તો તમારે સમજવું પડશે કે તમને માબાપ કે પરિવારજન ગણાવવાનો કોઈ હક નથી. તમારો દીકરો કોની સાથે ફરે છે, રખડે છે અને તેની સોબતમાં કેવા-કેવા લોકો છે એ જાણવું, જોવું એ પરિવારના સભ્યોની જવાબદારી છે. આ જવાબદારીને સભાનતાથી નિભાવવી પડશે. જો તમે એ નિભાવી ન શકતા હો કે પછી એ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા હો તો તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે.


માત્ર હૈદરાબાદમાં જ નહીં, દિલ્હીના નિર્ભયા કેસ પછી પણ એવી જ અવસ્થા ઊભી થઈ હતી કે એ આરોપીઓએ તેના પરિવારને કશું ન થાય એને માટે પોલીસને હાથ જોડ્યા હતા, કોર્ટમાં પણ એવી જ વિનંતી કરી હતી. જરા વિચાર તો કરો. એ નરાધમોને પણ છેલ્લે તો પરિવાર જ યાદ આવે છે. જે સમયે એવો કાયદો બનશે કે તેના પરિવારની સંપત્તિ ટાંચમાં લેવાશે કે પછી તેના પરિવારનું નાગરિકત્વ રદ કરી નાખવા જેવો મોટો કાયદો બનાવવામાં આવશે એ સમયે ગમે એવી વિકૃતિ મનમાં જન્મશે તો પણ એનો નાશ કરવાનો રસ્તો પણ પોતે જ વિચારશે. એ વિકૃતિનું કેવી રીતે શમન કરવું એનો વિચાર પણ તે જાતે જ કરશે અને કાં તો વિકૃત જન્મે એ પહેલાં પોતે જ તેની હત્યા કરી નાખશે. જરૂરી એ જ છે. જરૂરી વિકૃતિનું શમન જ છે. કાયદો એવો હોવો જોઈએ જેમાં વિચારમાત્રથી ધ્રુજારી છૂટી જાય. આજે જગતભરના મોટા ભાગના દેશોએ બળાત્કાર જેવા ગંભીર ગુના માટે અતિશય કડક કાયદા રાખ્યા છે અને એ રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે એ પ્રકારનો વિચારમાત્ર મનમાં જ ડામી દેવામાં આવે.

શરૂઆત તમારે આકરા થઈને કરવી પડે. જો આકરા થવાની તૈયારી તમે ન રાખો તો તમારે ભોગવવાની તૈયારી રાખવી પડે. અત્યારે એવી જ પરિસ્થિતિ છે કે આપણા સમાજે બધું ભોગવવું પડી રહ્યું છે. શું કામ ભોગવે સમાજ, શું કામ ભોગવે બહેન-દીકરીઓ? કાયદો જ એવો બનાવો જેની આકરામાં આકરી સજાઓ મનમાં જ કુવિચારોને કચડી નાખવાનું કામ કરે.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 03:37 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK