Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલા ત્રણ નંબરનું જ મહત્ત્વ શું કામ?

પહેલા ત્રણ નંબરનું જ મહત્ત્વ શું કામ?

26 December, 2020 05:18 PM IST | Mumbai
Sanjay Raval

પહેલા ત્રણ નંબરનું જ મહત્ત્વ શું કામ?

પહેલા ત્રણ નંબરનું જ મહત્ત્વ શું કામ?


આખા જગતમાં જો ભગવાને કોઈ એકને જ તક આપી હોય, વરદાન આપ્યું હોય તો એવા આપણે છીએ. આપણને ઈશ્વરે ખુશ થવાની અને આનંદમાં રહેવાની તક આપી છે, પણ અફસોસની વાત એ છે કે આપણે બધા એ તકનું મહત્ત્વ જ નથી સમજતા. ક્યારેય આપણે ખુશ રહેવા રાજી નથી અને દુખી થવાની તક આપણે સતત શોધતા રહીએ છીએ. તમે નજર કરો તમારી આજુબાજુ, બધાની પાસે ફરિયાદો જ છે, બધા દિવેલ પીધેલા અને ઊતરી ગયેલા મોઢાવાળા જ જોવા મળે છે. કોઈ હસતા નથી, કોઈ ખુશ દેખાતા નથી. બધાને પરેશાની છે અને બધા સતત ભય, ચિંતા અને ટેન્શનમાં જ દેખાય છે. સવાર, બપોર કે રાતે એરંડિયું પીને નીકળ્યા હોય એવું જ લાગ્યા કરે. આનું કારણ શું? એવું તે શું છે કે કોઈને જરાસરખીય ખુશી નથી? કોરોના તો હમણાં આવ્યો, કોરોનાને લીધે ચહેરા પર સ્માઇલ ચોરાયું હોય એવું નથી બન્યું, એ તો આપણે પહેલેથી ખોઈ ચૂક્યા છીએ. સ્માઇલ પણ એવી રીતે ખોયું છે જાણે આપણને કોઈને જીવનમાં રસ જ નથી રહ્યો. મંદિર હોય કે પછી સ્મશાન હોય, લગ્નમાં જાઓ કે કથામાં જાઓ, બધે જ ઍવરેજ લોકો ભય વચ્ચે જીવે છે અને ડિપ્રેશનમાં જ રહે છે.

મને લાગે છે, આને માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણી શિક્ષણપદ્ધતિ છે.



આપણી શિક્ષણપદ્ધતિમાં સ્કૂલ-કૉલેજો છે અને આ સ્કૂલ-કૉલેજોમાં શું છે. હંમેશાં પહેલા, બીજા અને ત્રીજા નંબરનું જ બહુમાન થાય છે. ભાઈ, જો આ ત્રણ નંબર જ મહત્ત્વના તો પછી છેલ્લા ત્રણ નંબરોનું શું, એ બધા નકામા? મારા જેવા લોકો આ છેલ્લી લાઇનમાં અને છેલ્લા ત્રણ નંબરમાં જ હોય છે. આપણે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ હરીફાઈ હોય છે ત્યાં પહેલા ત્રણ નંબરને જ ઈનામ આપીએ છીએ. છેલ્લા ત્રણ નંબરે પણ ભાગ તો લીધો જ છે, પણ એનું કોઈ મૂલ્ય નથી. જરા વિચારો કે આ છેલ્લા ત્રણ નંબરવાળા ભાગ જ ન લે તો? આ ત્રણ જણ એકલા દોડે અને એકબીજાની સાથે નંબરની આપલે કરી લે. દરેક


બાળક સફળ થવા જ પેદા થયું છે. ક્ષેત્ર અલગ-અલગ હોઈ શકે, પણ થવું તો તેણે સફળ જ છે. કોઈની ફિંગર-પ્રિન્ટ એક

જેવી નથી એવી જ રીતે ઝાડ પરનાં બે પાંદડાં પણ એકસરખાં નથી તો પછી કોઈ કોઈના જેવું કેવી રીતે હોઈ શકે. અબ્દુલ કલામે કહ્યું હતું કે જ્યાં સુધી છેલ્લી પાટલીવાળો ભાગ નથી લેતો ત્યાં સુધી આ પહેલી પાટલીવાળાઓની બોલબાલા છે. મૂળ વાત એ છે કે આપણી આ શિક્ષણપદ્ધતિ  જ યોગ્ય નથી.


એજ્યુકેશન શું છે?

આ જ સવાલને ગુજરાતીમાં પૂછી લઉં. ભણતર એટલે શું? ભણતરનો સીધો અર્થ છે કે ભણાવવું, પણ મુદ્દો એ છે કે આપણે ત્યાં આ થાય છે ખરું? ના, કેમ કે અંગ્રેજોએ જે શિક્ષણપદ્ધતિ આપી એ નોકરિયાત અને કારકુન કરનારી શિક્ષણપદ્ધતિ જ રહી છે, જેને આપણે ગૌરવ સાથે પકડી રાખી છે. આપણે માત્ર ૨૦ ટકા લોકો માટે જ બાકીના લોકોને તૈયાર કરવા છે અને એ જ દૃષ્ટિથી આપણે આર્કિટેક્ટ, એન્જિન્યર, સીએ, ડૉક્ટર માટે જ સ્ટાફ પેદા કરવાનું કામ કરીએ છીએ. આપણે ત્યાં એવું ભણતર હોવું જોઈએ કે કોઈ પણ બાળક કોઈ પણ ટકાવારી સાથે સ્કૂલ-કૉલેજમાંથી બહાર આવે એટલે તેને એવું લાગવું જોઈએ કે હું મસ્ત ભણ્યો. આઇ ઍમ ધ બેસ્ટ ક્રીએશન ઑફ ગૉડ ઍન્ડ નાઉ, માય સ્કૂલ ટુ પણ અફસોસ, સ્કૂલમાંથી બહાર આવતાં ૮૦ ટકા લોકોને એમ જ થાય છે કે આપણી જિંદગી પતી ગઈ. શું અંગ્રેજો જે દાખલ કરીને ગયા એ પાંચ વિષયો જ આપણી જિંદગી છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું કોઈ મૂલ્ય જ નથી. આપણે ત્યાં સ્કૂલ અને કૉલેજોમાં સ્વામી વિવેકાનંદનું સૂત્ર મોટા અક્ષરે લખવામાં આવે છે અને બધા ફૅશનેબલ બોલે પણ છે.

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

પણ ઉઠાડશે કોણ? જગાડશે કોણ અને ક્યાં મંડ્યા રહેવાનું છે એ સમજાવશે કોણ?

શિક્ષણપદ્ધતિ આ ત્રણ કામ કરે છે?

જવાબ છે, ના.

આપણી શિક્ષણપદ્ધતિ આપણાં બાળકોની સાચી પરીક્ષા લે છે ખરી? પૂર્ણપણાનું રિઝલ્ટ આપે છે? જેને આપણે સફળતા કહીએ છીએ એ હકીકતમાં વિદ્યાર્થી એક વર્ષમાં કેટલું ગોખી શકે અને એ ગોખેલું પરીક્ષાના ત્રણ કલાક દરમ્યાન કેટલું ઊલટી કરી શકે એનો માપદંડ છે. બાળકની હોશિયારી કે કૌશલનો માપદંડ નથી.

તમે જુઓ, આપણે આપણાં બાળકોના ભવિષ્ય સાથે શું કરી રહ્યા છીએ. એક બાળક ત્રણ-ચાર વર્ષની ઉંમરે પહેલી વાર ઘર છોડીને સ્કૂલ જાય. સરસમજાનો તૈયાર થાય, રાજી થઈને સ્કૂલ જાય અને સાંજે આવીને પછી રડે છે. બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. બાળક સ્કૂલ જવાની ના શું કામ પાડે છે? આ જવાબમાં જ આપણી શિક્ષણપદ્ધતિની નિષ્ફળતા દેખાય છે. બાળકને મનમાં એમ હોય છે કે મારાં માબાપથી હોશિયાર માણસ મને સ્કૂલમાં મળશે. મને સરસ વાર્તા કહેશે, માબાપથી પણ વધારે ધ્યાન રાખશે અને પ્રેમ કરશે અને નવું-નવું શીખવાડશે. મને આગળના જીવનમાં આવે એવું ભણાવશે. કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વર્તવું એ શીખવશે, પણ એવું થતું નથી અને એને બદલે સાવ કાચો અને ડોબો શિક્ષક એ બાળકને મળે છે જે ૧૦-૨૦ હજાર માટે નોકરી કરે છે (યાદ રહે પહેલાં તો ચાર-પાંચ હજાર જ મળતા અને હજીયે કેટલીક સ્કૂલો એવો જ પગાર આપે છે) આમાં શિક્ષકનો વાંક છે એવું કહેવા નથી માગતો, પણ આમાં શિક્ષણપદ્ધતિનો વાંક છે એવું કહેવાનો ભાવ છે. બાળમંદિર અને અંગ્રેજીના કિન્ડર ગાર્ટનના શિક્ષકો તો સૌથી હોશિયાર હોવા જોઈએ એવું મને લાગ્યું છે અને એનાથી સાવ જ ઊલટું આપણે ત્યાં છે. એ શિક્ષકો માનસશાસ્ત્રી સમાન હોવા જોઈએ, પણ આપણે ત્યાં બાલમંદિરના શિક્ષકોનું કોઈ મૂલ્ય જ નથી, બોલો. એ શિક્ષકોએ તો બાળકોને જીવનના અમૂલ્ય પાઠ શીખવવાના છે. સંસ્કાર અને સંસ્કૃતિ વિશે જ્ઞાન આપે, પણ આમ થતું નથી એનાં બે કારણો છે. એક, તો એ કે જે લોકો આ શિક્ષકોનું માળખું બનાવે છે એ લોકોમાં એવી દૃષ્ટિ નથી કે તે આ વાતને વિચારે અને બીજું કારણ એ કે ૧૦-૨૦ હજારનો કે પછી એનાથી પણ ઓછો પગાર મળતો હોય ત્યાં માનસશાસ્ત્રી સમાન શિક્ષક કામ કરવા રાજી પણ ન થાય. પ્રાઇમરીના શિક્ષકોથી લઈને કૉલેજના શિક્ષકોનો પગાર મારી દૃષ્ટિએ એક લાખ રૂપિયા હોવો જોઈએ. નોકરીના પહેલા જ દિવસે તેને રહેવા માટે સરકારે ઘર આપવું જોઈએ. આ શિક્ષકને લાલ લાઇટવાળી ગાડી મળવી જોઈએ અને આ શિક્ષકનાં બાળકોને ભણાવવાની જવાબદારી સરકારે લઈ લેવી જોઈએ. જો આવું થયું તો જે સૌથી હોશિયાર લોકો છે એ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવશે અને ધીરે-ધીરે બધા જ વિદ્યાર્થીઓ તેમના હાથ નીચે એકદમ હોશિયાર બનશે. લોકો બાય-ડિફૉલ્ટ શિક્ષક નહીં બને, પણ શોખથી બનશે અને એમ કરતાં દેશની આખી શિક્ષણપદ્ધતિમાં બેસ્ટ લોકો

આવી જશે. બાળકની ક્ષમતા જોઈને નક્કી કરવામાં આવશે કે તેને કયા કોર્સમાં

મોકલવું જોઈએ.

સ્કૂલમાં પહેલે જ દિવસે દરેક નાનાં બાળકોને એક મોટા હૉલમાં બેસાડવામાં આવે ત્યાં બાળકો ધીંગામસ્તી કરતાં હોય, ધમાલ કરતાં હોય અથવા તો ડરેલાં હોય કે હવે કયો સત્તરસિંગો આવશે અને ત્યારે જ સ્ટેજ પર માઇકમાંથી એક અવાજ આવે...

‘ચાલો પ્રાર્થના, આંખો બંધ.’

- કેમ ભાઈ, ખુલ્લી આંખે પ્રાર્થના ન થઈ શકે?

પાયામાં જ ખોટ છે અને આ ખોટવાળા પાયા સાથે જ તો આપણાં બાળકો ભણવાનું શરૂ કરે છે અને એ પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ અવ્વલ દરજ્જાનો બને. ના, ક્યારેય નહીં બને અને આ અપેક્ષા ફળીભૂત નહીં થાય એટલે આપણે બાળકોને જ દોષ આપવાનું શરૂ કરી દઈશું. આપણો કોઈ વાંક જ નથી, આપણી સિસ્ટમનો કોઈ વાંક જ નથી. જ્યાં સુધારો કરવાનો છે એને અકબંધ રાખીને આપણે બાકીનું બધું બદલાવીશું અને એ જ ભૂલનું પુનરાવર્તન કરીશું જે ભૂલ આપણા બાપદાદાના સમયથી ચાલી આવે છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 05:18 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK