સુશાંત મામલામાં અમે માહિતી જાહેર નથી કરી : સીબીઆઇ
સુશાંત સિહ રાજપૂત (ફાઇલ ફોટો)
સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેન્ટિગેશન (સીબીઆઇ)એ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતુ કે તેમણે સુશાંત સિંહના કેસની વિગતો જાહેર કરી નથી. સંબંધિત કેસમાં મીડિયા ટ્રાયલ પરની પીઆઇએલની સુનાવણી કરતાં કોર્ટે કહ્યુ હતું કે આ તપાસ મીડિયા કેન્દ્રવર્તી બની ગઈ હતી. અહીં પ્રશ્ન નિયંત્રણનો નહીં, પરંતુ તપાસની તીવ્રતાનો છે.
સીબીઆઇનું પ્રતિનિધિત્વ કરતા ઍડિશનલ સૉલિસીટર જનરલ અનિલ સિંહે કોર્ટમાં ભારપૂર્વક કહ્યું હતું કે ઈડી અને એનસીબી પણ અભિનેતાના જૂનમાં થયેલા મૃત્યુના કેસની તપાસ કરી રહી છે, પરંતુ તેમણે કોઈ પ્રકારની માહિતી જાહેર કરી નથી. તમામ તપાસકર્તા એજન્સીઓએ આ માટે સોગંદનામું પણ આપ્યું હોવાનું જણાવતાં તેમણે કોર્ટને વધુમાં ઉમેર્યું હતું કે અમે પ્રતિષ્ઠિત અને જવાબદાર સંસ્થા છીએ, આથી માહિતી જાહેર કરવાનો પ્રશ્ન જ નથી આવતો.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બનેલી વિભાગીય બેન્ચે પીઆઇએલ પરની અંતિમ સુનાવણી કરતાં કહ્યું હતું કે મીડિયાએ અભિનેતાના મૃત્યુના કેસની તપાસમાં સંયમ જાળવવો જોઈએ.