મનમોહન સિંહ સાઇલન્ટ વડા પ્રધાન અમેરિકી અખબારે આપી આ ઓળખ
અમેરિકાના ટોચના અખબારે ભારતના વડા પ્રધાન મનમોહન સિંહને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારના અક્ષમ અને દિશાવિહીન વડા ગણાવ્યા હતા. ‘ભારતના સાઇલન્ટ વડા પ્રધાન બની ગયા છે એક ટ્રૅજિક હસ્તી’ એવા ર્શીષક હેઠળના આર્ટિકલમાં મનમોહન સિંહની ભારે ટીકા કરવામાં આવી છે. અમેરિકી અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ જણાવ્યું હતું કે ભારતને આધુનિક, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવામાં મનમોહન સિંહે મહત્વનું યોગદાન આપ્યું હતું, પણ ટીકાકારો કહે છે કે ઓછાબોલા, મૃદુ સ્વભાવના ૭૯ વર્ષના વડા પ્રધાન ઇતિહાસમાં એક નિષ્ફળ નેતા તરીકે ઓળખાવવાની દિશામાં ભયજનક રીતે આગળ વધી રહ્યા છે.
આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને વિશ્વભરમાં મનમોહન સિંહ એક સન્માનનીય હસ્તી છે, પણ હવે તેમની ઇમેજ એક અક્ષમ, દિશાવિહીન વડા તરીકે થઈ રહી છે. અખબારે એ વાતની પણ નોંધ લીધી છે કે કોલસાકૌભાંડના મુદ્દે વડા પ્રધાનના રાજીનામાની માગણીને લઈને વિરોધ પક્ષો છેલ્લાં બે અઠવાડિયાંથી સંસદ ચાલવા દેતા નથી. અખબારના મતે ભારતના અર્થતંત્રનો વિકાસ ધીમો પડી રહ્યો છે અને દેશમાં નિરંકુશ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી ભારતની છબિ ઘડાઈ છે. એટલું જ નહીં, ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ વૈશ્વિક મહાસત્તા બનવાની ભારતની ક્ષમતા સામે પણ સવાલો પેદા કર્યા હતા.