દેશમાં મોદીની સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયો
નરેન્દ્ર મોદી
મોદી સરકાર ૨૦૧૪થી ભારતમાં શાસન કરી રહી છે ત્યારે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં આઝાદી ઘટી ગઈ છે. અમેરિકાના વૉશિંગ્ટન ખાતે આવેલી થિન્ક ટેન્કે ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ એટલે કે નીચો કરી દીધો છે. ફ્રીડમ હાઉસના રૅન્કિંગમાં ભારત પહેલાં સ્વંતત્રની કૅટેગરીના દેશોમાં હતો, પરંતુ હવે ભારતના રૅન્કિંગને ઘટાડીને આંશિક સ્વંતત્રની કૅટેગરીમાં કરી દેવાયું છે.
અમેરિકન થિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં લોકોની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે સ્વતંત્ર દેશની જગ્યાએ આંશિકરૂપે સ્વતંત્ર દેશમાં બદલાઈ ગયો છે. નોંધનીય છે કે આ રિપોર્ટમાં પૉલિટિકલ ફ્રીડમ અને માનવાધિકારને લઈને ઘણા દેશોમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું અને આ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૧૪માં સત્તાપરિવર્તન બાદ નાગરિકોની સ્વતંત્રતામાં ઘટાડો આવ્યો છે.
ADVERTISEMENT
ડેમોક્રેસી અન્ડર સીઝ નામકન રિપોર્ટમાં ભારતને ૧૦૦માંથી ૬૭ નંબર આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ભારતને આ રિપોર્ટમાં ૭૧ નંબર આપવામાં આવ્યા હતા. ૨૧૧ દેશોમાં ભારત હવે ૮૩થી ખસીને ૮૮મા નંબર પર પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સરકારની ટીકા કરનારા લોકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. લેખકો અને પત્રકારો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.