સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશેઃવિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે ગાંધીનગર પાસે કોલવડામાં શરૂ થયેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવતાં ભારપૂર્વક કહ્યું હતું કે સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત ધ્યાનમાં રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર–માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન–વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ બનવું જ પડશે.
વિજય રૂપાણીએ સંસ્કૃતને બધી ભાષાની મૂળ ભાષા ગણાવતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતની બ્રૅન્ડ-ઇમેજની ક્ષમતા ધરાવતી આ ભાષાને સ્યુડો-સેક્યુલરિસ્ટ અને ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જુદી રીતે ચીતરીને આપણા દેશની ધરોહર, માનબિંદુ પર કુઠરાઘાત કરવાના પ્રયાસો કર્યા છે.
આ પ્રસંગે સંસ્કૃત ભાષા–સાહિત્યમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી વ્યક્તિઓને અવૉર્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. બે દિવસ માટે યોજાઈ રહેલા આ અધિવેશનમાં સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર–પ્રસારનું સમૂહમંથન કરવામાં આવશે.