બજેટ સત્રની તૈયારીમાં વ્યસ્ત સરકારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કર્યા
રૂપાણી સરકારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કર્યો
ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈ વિવિધ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૬ વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષ પૂરતો રદ કરી દીધો છે.
આ પહેલાં ગત ૧૩, ૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ ‘વાયુ’ સાઇક્લોનને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. એ સમયે શાળા પ્રવેશોત્સવ બાદમાં યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો. જોકે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું શિક્ષણપ્રધાને સ્વીકાર કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત સરકાર ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે
આ પહેલાં ૯ જૂનના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.