૪ નવેમ્બરે લાગેલી આગનો વિડિયો વાઇરલ
૪ નવેમ્બરે લાગેલી આગનો વિડિયો વાઇરલ
ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા સૌથી ફાસ્ટ છે. રોડ પર એક માણસનો અકસ્માત થાય એ પોલીસ અને મીડિયાની પહેલાં તો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ધૂમ મચાવી દે છે. ગઈ કાલે મુંબઈના એક ટાવરમાં મોટી આગ લાગી છે એવો વિડિયો વાઇરલ થયો હતો. થોડી વાર પછી ઘાટકોપર (ઈસ્ટ)ના વિક્રાંત સર્કલના એક ટાવરમાં આગ લાગી હોવાની માહિતી સોશ્યલ મીડિયામાં પ્રસરી હતી, જેને પગલે ઘાટકોપરમાં ઊહાપોહ મચી ગયો હતો.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વિક્રાંત સર્કલ પરના રહેવાસીઓ પણ એની પૂછપરછ માટે સતત ‘મિડ-ડે’ને ફોન કરી રહ્યા હતા. આગ કરતાં આગની અફવા વધુ વિકરાળ હતી એમ કહેવું સહેજ પણ અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય.
ઘાટકોપરના રહેવાસીઓના ફફડાટભર્યા સતત ફોનને કારણે ‘મિડ-ડે’એ આ બાબતની તપાસ કરવા માટે પહેલાં ડેપ્યુટી ફાયર બ્રિગેડ ઑફિસરને ફોન કર્યો હતો. તેમણે ફક્ત એટલો જ જવાબ આપ્યો કે આગ થોડા દિવસ પહેલાં મુંબઈના એક ઉપનગરમાં આવેલાં ટાવરમાં લાગી હતી. જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ કયાં એનો જવાબ તેમના તરફથી પણ મળ્યો નહોતો.
ત્યાર પછી વધુ તપાસ કરતાં ‘મિડ-ડે’ને માહિતી મળી હતી કે જે વિડિયો વાઇરલ થયો છે એ જોગેશ્વરી (વેસ્ટ)ના પટેલ એસ્ટેટ રોડ પર આવેલાં એક ટાવરનો છે. આ વિશે આ ટાવરના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ આગ અમારા ટાવરમાં ૪ નવેમ્બરે સવારે લાગી હતી. એક ફ્લૅટમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. જેની અસર પહેલાં ફ્લોરથી લઈને ત્રીજા ફ્લોર સુધીના ફ્લૅટોને થઈ હતી. આગ થોડી જ વારમાં વિકરાળ બની ગઈ હતી. તેના ધુમાડા ટાવરના પંદરમાં માળ સુધી પહોંચી ગયા હતા. ટાવરના રહેવાસીઓએ તરત જ ટાવરને ખાલી કરી દીધો હતો. રહેવાસીઓ અને ફાયર બ્રિગેડે સાથે મળીને આગને વહેલી તકે કાબૂમાં લઈ લીધી હતી, જેને પરિણામે કોઈ જાનહાનિ થઈ નહોતી.