'વાયુ' વાવાઝોડું વેરાવળથી માત્ર 930 કિમી દૂર, NDRF સ્ટેન્ડબાય
Image Courtesy: Metrological department
વાયુ વાવાઝોડાનો ખતરો વધુને વધુ ભયાનક બની રહ્યો છે. વાયુ વાવાઝોડું વેરાવળથી માત્ર 930 કિલોમીટર દૂર છે. મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં 930 કિલોમીટર દૂર પહોંચ્યું છે. રાજ્યમાં વાવાઝોડાના ખતરાને જોતા તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સમીક્ષા બેઠકમાં પરિસ્થિતિની માહિતી મેળવી છે. સમીક્ષા બેઠકમાં રાજ્યમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો પર ત્રાટકશે. વાવાઝોડાની ગતિ જોતા તે આગામી બે દિવસમાં એટલે કે 12 તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠી ટકરાઈ શકે છે. વાવાઝોડા દરમિયાન દરિયામાં 2 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. તો દરિયા કાંઠાના વિસ્તારોમાં 80 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે હવામાન ખાતા અને ઈસરો સાથે સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ ઉપરાંત લશ્કર, હવાઇદળ, કોસ્ટ ગાર્ડ, NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને એલર્ટ કરી દેવાઈ છે. તો માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના આપી દેવાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.
આ પણ વાંચોઃ આવતી કાલથી મુંબઇમાં આવી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
વાયુ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયારી પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. આ માટે યોજાયેલી બેઠકમાં સૈન્ય, એરફોર્સ, કોસ્ટગાર્ડ, NDRF, SDRFના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.