વાયુના કારણે રાજ્યના 445 ગામમાં છવાયો અંધારપટ
વાયુ વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી ચૂક્યો છે. રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરી ચૂકી છે. જો કે વાવઝોડું ભલે ફંટાયું હોય પરંતુ ગુજરાતમાં આર્થિક નુક્સાન જરૂર કરતું ગયું છે. વાયુ વાવાઝોડું તો ગુજરાત પર ન ત્રાટક્યું પરંતુ તેના કારણે પડેલા ભારે વરસાદ અને ફૂંકાયેલા પવને આર્થિક નુક્સાન જરૂર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠેર ઠેર ઝાડ પડવાના અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થવાની ઘટનાઓ સામે આવી છે.
આ પ્રકારની ઘટનાઓને કારણે રાજ્યના 445 ગામોમાં અંધારપટ છવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારે પવનના કારણે રાજ્ય ભરમાં સંખ્યાબંધ વીજ પોલ જમીનદોસ્ત થયા છે. પરિણામે કુલ 445 ગામોમાં વીજળીનો પુરવઠો પહોંચી નથી રહ્યો. રાજ્યના કુલ 840 ફીડરો બંધ છે, તો 936 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 70 ટ્રાન્સફોર્મસ્ બંધ હાલતમાં છે. જેને કારણે હજારો લોકોએ આ સ્થિતિમાં વીજળી વગર રહેવું પડ્યું છે.
ADVERTISEMENT
વાયુ વાવાઝોડાની દિશા બદલાયા બાદ ગુજરાત માટે આંશિક રાહત થઈ છે. પણ હવામાન વિભાગના કહેવા પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન હજી પણ ફૂંકાઈ શકે છેતેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને હજીય સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે. હજી પણ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરાઈ છે.