વસઈ - વિરાર ડેન્જર ઝોનમાં
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકા ક્ષેત્ર અને પાલઘર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવા છતાં ટોટલ લૉકડાઉન નથી કરાયું, કદાચ એને લીધે અહીં ૧૧,૦૦૦થી વધારે કેસ થયા છે. એમાં પણ વસઈ-વિરાર મહાનગરપાલિકા ક્ષેત્રમાં કેસનો આંકડો ૯૦૦૦ને વટાવી ચૂક્યો હોવાથી અહીંની સ્થિતિ ચિંતાજનક છે.
વસઈમાં કેટલીક મિશનરીઓની જૂની હૉસ્પિટલો કાર્યરત હોવાથી લોકોને અહીં સારવાર મળી રહે છે, પરંતુ નાલાસોપારા અને વિરારમાં આવી ગણીગાંઠી હૉસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી સાધનો ન હોવાથી અહીંના રહેવાસીઓની હાલત દયનીય બની છે. કોઈ ગંભીર મામલો આવે તો દરદીને મીરા-ભાઈંદર, થાણે કે મુંબઈ મોકલવા પડે છે.
ADVERTISEMENT
મીરા-ભાઈંદર, થાણે અને મુંબઈની સરખામણીમાં અહીં મૃત્યુઆંક ૨૦૦ની અંદર એટલે કે ૧૮૯ ગઈ કાલ સુધી રહ્યો છે. બીજી તરફ અહીં રિકવરી રેટ ૬૬ ટકા છે એટલે કે ગઈ કાલે નોંધાયેલા ૨૯૨ નવા કેસ સાથે કુલ કેસ ૯૫૭૬ થયા છે, જેમાંથી ૬૩૪૦ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે ૩૦૪૭ ઍક્ટિવ કેસ છે.
મીરા-ભાઈંદરમાં શુક્રવાર સુધી ૧૮,૬૬૭ લોકોની કોવિડ-19 ટેસ્ટ કરાઈ હતી, જ્યારે વસઈ-વિરાર ક્ષેત્રમાં ૫૧,૨૦૦થી વધારે એટલે કે ઑલમોસ્ટ ત્રણ ગણી ટેસ્ટિંગ કરવામાં આવી છે.
કલેક્ટરે ક્વૉરન્ટીન સેન્ટરમાં જરૂરી સુવિધા પર ધ્યાન રાખવાનું જણાવ્યું
પાલઘર જિલ્લાના કલેક્ટર કૈલાશ શિંદેએ ગઈ કાલે જિલ્લાના અધિકારીઓને ક્વૉરન્ટીન સેન્ટરોમાં રેગ્યુલર વિઝિટ કરવાની સાથે લોકોને જરૂરી સુવિધાની કોઈ કમી ન રહે એ બાબતે ધ્યાન આપવાનું જણાવ્યું હતું. કલેક્ટરે ગઈ કાલે બહાર પાડેલા આદેશમાં જિલ્લાના સર્જ્યનોએ ક્વૉરન્ટીન સેન્ટરોમાં અઠવાડિયામાં બે વખત મુલાકાત લેવાનું ફરજિયાત કર્યું હતું. ક્વૉરન્ટીન સેન્ટરમાં દરદીઓને ગરમ પાણી નિયમિત મળે એ માટે ડેપ્યુટી એન્જિનિયરોએ ધ્યાન આપવાનું તથા તેમને સમયસર ભોજન મળે અને ટૉઇલેટ-બાથરૂમ અને લિનની યોગ્ય સફાઈ રાઉન્ડ ધ ક્લૉક કરવાનું આદેશમાં જણાવ્યું હતું.
ટેસ્ટિંગ વધારવાને કારણે કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રોમાં પેશન્ટ્સનો સર્વે હાઈ લેવલ પર થઈ રહ્યો છે અને હૉસ્પિટલમાં પૂરતા બેડ છે એટલે લોકોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી.
- ગણેશ પાટીલ, વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાના પ્રવક્તા