દિલ્હી અભી દૂર હૈ...
તસવીર સૌજન્ય મિડ-ડે
પરેલમાં કોરોના-વૅક્સિન આવી પહોંચી છે ત્યારે એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાની લડાઈ સામે ભલે છેલ્લા બે મહિનાથી કેસ ઓછા થઈ રહ્યા છે અને હવે તો વૅક્સિન પણ મુંબઈ આવી પહોંચી છે એમ છતાં કોરોના વાઇરસનો જલદીથી ખાતમો થઈ શકશે એવું જો ધારતા હો તો સંભાળજો, કારણ કે એ માટે હજી ઘણો સમય લાગશે. ગયા મહિને પણ મુંબઈમાં ઍક્ટિવ કેસ તો ૭૫૦૦ની આસપાસ જ રહ્યા છે. વળી જે વૅક્સિન આવી છે, પણ એ પણ ૧૦૦ ટકા કોરોનાનો ખાતમો કરશે જ એવું નથી એથી હાલમાં એ સંદર્ભે ઢીલું વલણ અપનાવવું જોખમી બની શકે છે.
મુંબઈમાં સપ્ટેમ્બરમાં જ્યારે કોરોના પિક પર હતો ત્યારે રોજના ૨૦૦૦ કેસ આવતા હતા. ત્યાર બાદ હવે ૫૦૦થી ૭૦૦ જેટલા આવી રહ્યા છે, પણ હજી એટલા કેસ રોજ આવી રહ્યા છે. ઍક્ટિવ કેસમાં પણ ખાસ કશો ઘટાડો નોંધાયો નથી. ગુરુવારે મુંબઈમાં ૭૫૨૫ કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યનો આંકડો ૫૨,૦૦૦ જેટલો હતો.
રાજ્યના કોવિડ ટાસ્કફોર્સના ડૉ. રાહુલ પંડિતે કહ્યું કે ‘હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એ ઉપરાંત મૃત્યુનો દર પણ ઓછો થઈ રહ્યો છે છતાં હાલનો ટ્રેન્ડ જોતાં હવે પછી કેસમાં ઘટાડો થવામાં લાંબો સમય લાગશે. કોરોના હજી ગયો નથી. ઘણા લોકો એવી રીતે વર્તી રહ્યા છે જાણે કોરોના ખતમ થઈ ગયો છે. જો હાલની પરિસ્થિતિમાં સેકન્ડ વેવ આવે તો એ વધુ ગંભીર હશે.’
મુંબઈ મહાનગરપાલિકાના એક ઑફિસરે કહ્યું કે વૅક્સિનેશનના પહેલા તબક્કામાં ૧.૩ લાખ હેલ્થ કૅર વર્કર્સને આવરી લેવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં બે લાખ સફાઈ-કર્મચારીઓ અને પોલીસને રસી આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં ૩૦ લાખ સિનિયર સિટિઝોનેને રસી આપવામાં આવશે અને ત્યાર બાદ જ સામાન્ય મુંબઈગરાનો નંબર લાગશે. વૅક્સિનની સપ્લાય જોતતાંઆ ફેઝને કવર કરવામાં ૬ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગી શકે એમ છે.’
હાલ મુંબઈમાં કોરોના-પૉઝિટિવનો દર દરેક ૧૦૦ ટેસ્ટમાંથી પૉઝિટિવ કેસ ૪ કરતાં પણ ઓછા છે. ૧૪ ડિસેમ્બરથી લઈને ૧૩ જાન્યુઆરીના એક મહિનાના સમયગાળામાં કુલ ૪.૩૩ લાખ ટેસ્ટ થઈ હતી, જેમાંથી ૧૭,૦૬૫ કેસ (૪.૩૩ ટકા) પૉઝિટિવ જણાયા હતા, જ્યારે કોરોનાના દરદીઓનાં મૃત્યુ પણ ડિસેમ્બરમાં ૩૫૪ નોંધાયાં હતાં જે એ પહેલાંના મહિનાઓમાં સરેરાશ ૧૩૦૦ હતાં.