કોવિડનાં ન વપરાયેલાં ઉપકરણો બીએમસીનાં હેલ્થ સેન્ટરોને અપાશે
તસવીર સૌજન્ય સતેજ શિંદે
શહેરમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ઘટવા માંડી છે ત્યારે મહાનગરપાલિકા હવે વપરાશમાં ન લેવાયાં હોય એવાં મેડિકલ ઉપકરણોનો ઉપયોગ કરવા પર ધ્યાન આપી રહી છે. જોકે તાજેતરમાં બંધ થયેલાં કોવિડ કૅર સેન્ટર્સ ખાતેનાં મૂળભૂત ઉપકરણો ઉપરાંત સેવન હિલ્સ હૉસ્પિટલ ખાતે આશરે ૩૦ જેટલાં નીચી કિંમતનાં વેન્ટિલેટર છે જે નબળી ગુણવત્તાના કારણે વાપરવા યોગ્ય નથી. પરંતુ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર એ વેન્ટિલેટર્સને ઉપયોગી ગણાવી રહ્યા છે.
વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના કૉર્પોરેટર રવિ રાજાએ ૨૮ જૂને મહાનગરપાલિકાને પત્ર પાઠવીને વેન્ટિલેટર્સ બમણી કિંમતે ખરીદવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ૩૦ વેન્ટિલેટર નંગદીઠ ત્રણ લાખ રૂપિયાની કિંમતે ખરીદ્યાં હતાં અને એ પૈકીના એક પણ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. મને વહીવટી તંત્ર પાસેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. મેં હલકી ગુણવત્તાના ઉપકરણ પાછળ ભંડોળના વેડફાટ મામલે તપાસની પણ માગણી કરી હતી એમ રાજાએ જણાવ્યું હતું.
સેવન હિલ્સ હૉસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘આ વેન્ટિલેટર ખામીયુક્ત છે. એનું વેચાણ કોવિડના ગંભીર દરદીઓને જરૂર પડે છે એ હાઈ-ફ્લો વેન્ટિલેટર્સની તુલનામાં લો ઑક્સિજન ફ્લો ડિવાઇસ તરીકે કરવામાં આવ્યું હતું. પરંતુ એ ઍન્ડ્રૉઇડ ફીચર ધરાવે છે, જે ફ્રીઝ થઈને કામ કરતું બંધ થઈ જાય છે. વળી એ ઑક્સિજન સૅચ્યુરેશનના અમુક ટકા કરતાં વધારે કામ આપી શકતું નથી અને દરદી માટે એ નુકસાનકારક છે.’
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં બંધ થયેલી સીસીસી-૧ અને સીસીસી-૨ સુવિધાઓમાં પલ્સ ઑક્સિમીટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર અને બ્લડ-પ્રેશર મૉનિટર્સ હતાં. આ ઉપકરણોને હેલ્થ પોસ્ટ્સ, પેરિફેરલ હૉસ્પિટલ, મૅટરનિટી હોમ કે ડિસ્પેન્સરીમાં મોકલવામાં આવશે.