યુનિવર્સિટીના ફાઇનલ યરની પરીક્ષાઓનો કાર્યક્રમ ઘડવામાં આવશે
પ્રતીકાત્મક
યુનિવર્સિટીઓના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવાની અનિવાર્યતા દર્શાવતા સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે મહારાષ્ટ્રના ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે પરીક્ષાનો કાર્યક્રમ ઘડવાની તૈયારી દર્શાવી હતી. ઉદય સામંતે જણાવ્યું હતું કે રાજ્યમાં ફાઇનલ યરની પરીક્ષાઓ કેવી રીતે યોજવી એની પદ્ધતિ અને નીતિનિયમો સંબંધી પ્રથમ નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવશે.
ઉદય સામંતે જણાવ્યું હતું કે ‘વિદ્યાર્થીઓની સલામતી સર્વોચ્ચ મહત્વની છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ સાવચેતી, સરળતા અને સાદગીથી પરીક્ષાઓ યોજવાનો અનુરોધ કર્યો છે. યુનિવર્સિટીઓના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસના છેલ્લા વર્ષની પરીક્ષાઓના આયોજન વિશે ભલામણો કરવા મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુહાસ પેડણેકરના વડપણમાં છ સભ્યોની સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. એ ભલામણોને આધારે જાહેરાત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર રોગચાળાના માહોલમાં પરીક્ષાઓ નહીં યોજવાની તરફેણમાં નથી, પરંતુ સર્વોચ્ચ અદાલતના દરેક ચુકાદાનો આદર કરે છે. પરીક્ષાના કાર્યક્રમ બાબતે લોકોને ગેરમાર્ગે દોરતા અહેવાલો ફેલાવવા ન જોઈએ. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે પરીક્ષાઓના ટાઇમટેબલ્સ પણ જાહેર કરવામાં આવશે.’