ઈરાનમાં લોકોની ખોમૈનીના રાજીનામાની માગણી
યુક્રેન વિમાન-દુર્ઘટનાની જવાબદારી લીધા બાદ ખોમૈની વિરુદ્ધ ઈરાનમાં વિરોધ-પ્રદર્શનની જ્વાળા ઊઠી છે. પ્રદર્શનકારીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમૈનીના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અન્ય નરસંહાર થવો જોઈએ નહીં. ઈરાને સ્વીકાર્યું હતું કે તેણે ભૂલથી યુક્રેનના વિમાન પર હુમલો કર્યો હતો જેમાં ૧૭૬ લોકોનાં મોત થઈ ગયાં હતાં.
ઈરાનના પાટનગર તહેરાનમાં અમેરિકાના દૂતાવાસની બહાર હજારો લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં જ અમીર કાબિર યુનિવર્સિટીની બહાર પણ ઈરાન સરકારની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો હાથમાં પોસ્ટર્સ લઈને ભેગાં થયાં છે અને ખોમૈનીના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
ઈરાને જે વિમાન પર હુમલો કર્યો એમાં સૌથી વધારે ઈરાનના નાગરિક સવાર હતા. આ દુર્ઘટનામાં ઈરાનના ૮૨ અને કૅનેડાના ૬૩ નાગરિકો સહિત ૧૭૬નાં મોત થયાં હતાં. ૮ જાન્યુઆરીએ વિમાન યુક્રેનના પાટનગર કીવ જઈ રહ્યું હતું જેમાં કેનાડા સિવાય યુક્રેનના ૧૧, સ્વીડનના ૧૦ અને અફઘાનિસ્તાનના ૪ જ્યારે જર્મની અને બ્રિટનના ૩-૩ નાગરિક સવાર હતા.