રામના નામે પૈસા ઉઘરાવતાં કપટી તત્ત્વોથી લોકોને ચેતવો: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકરોએ લોકોને ભગવાન રામના નામે પૈસા ઊઘરાવી રહેલાં ‘કપટી તત્ત્વો’થી ચેતવવા જોઈએ.
ઠાકરેએ મંગળવારે પક્ષના ધારાસભ્યો અને કાર્યકરોને સંબોધ્યા હતા. ઠાકરેને ટાંકીને તેમના નિકટના સૂત્રે જણાવ્યા પ્રમાણે શિવસેના તેનો વ્યાપ વિસ્તારવા માટે રાજ્યભરમાં ૨૨થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન ‘શિવ સંપર્ક’ અભિયાન હાથ ધરશે.
ADVERTISEMENT
કેટલાક લોકો ભગવાન રામના નામે પૈસા ઊઘરાવી રહ્યા છે. શિવસેનાના કાર્યકરોએ લોકોને આવાં બનાવટી તત્ત્વોથી ચેતવવા જોઈએ, એમ બીજેપી પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું.
ઠાકરેએ જણાવ્યું હતું કે ‘સામાન્ય જનતાને સમસ્યા ઉદ્ભવે ત્યારે તે સેના પાસે આવે છે. પક્ષ અને લોકો વચ્ચેના આ સંબંધનું સંવર્ધન થવું જોઈએ. પક્ષના કાર્યકરોએ લોકોને સેનાના વડપણ હેઠળની ગઠબંધન સરકારની સિદ્ધિઓ વિશે જાણ કરવી જોઈએ તથા લોકોની અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે સરકારને જાણ કરવી જોઈએ.’