ઉદ્ધવ ઠાકરેએ સંભાળ્યો મુખ્યમંત્રીનો કાર્યભાર, કાલે થશે પરીક્ષા
ઉદ્ધવ ઠાકરેએ સંભાળ્યો મુખ્યમંત્રીનો કાર્યભાર
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે આજે કાર્યભાર સંભાળ્યો છે. ત્યાં જ આવતીકાલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે અને એનસીપી ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલને પ્રોટે સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે. આવતીકાલે ઠાકરે સરકારને બહુમતિ સાબિત કરવો પડી શકે છે. કાર્યભાર સંભાળતા પહેલા પોતાના આવાસ માતોશ્રીથી નિકળ્યા બાદ તેમણે પહેલા હુતાત્મા ચોક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ઠાકરેની સાથે તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા. સચિવાલયમાં ઠાકરે સમર્થકોની ભીડ ભેગી થયેલી હતી. કાર્યભાર સંભાળતા પહેલા ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માળા અર્પણ કરી.
આવો છે બહુમતિનો આંકડો
મહત્વનું છે કે 288 સભ્યોની વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. પરંતુ શિવસેના પાસે માત્ર 56 ધારાસભ્યો જ છે. જો કે, એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ત્રણેયના ધારાસભ્યોની સંખ્યા મળીને 154 છે. જે બહુમતિના આંકડાથી વધારે છે. સમાજવાદી પાર્ટીએ પણ સમર્થન આપવા માટે કહ્યું છે. જેના કારણે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમની પાસેથી 162 ધારાસભ્યોનું સમર્થન છે.
જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં એનસીપી 54, કોંગ્રેસે 44 અને ભાજપે 105 બેઠકો જીતી હતી. શિવસેના અને ભાજપે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જો કે, મુખ્યમંત્રી પદને લઈને બંને વચ્ચે મતભેદ થયા બાદ ગઠબંધન તોડી નાખ્યું.