હિન્દુત્વથી બંધાયેલી છે બીજેપી અને શિવસેના: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને બીજેપી જો અલગ-અલગ લડ્યા હોત તો બન્ને પક્ષને નુકસાન થયું હોત એવી નિખાલસ કબૂલાત પોતાના પહેલા ઑનલાઇન ઇન્ટરવ્યુમાં કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બન્ને પક્ષો વચ્ચેની યુતિ હિન્દુત્વના આધાર પર થઈ છે અને ૨૫ વર્ષથી ચાલી રહી છે. આ વખતે પણ આ જ કારણસર અમે યુતિ કરવાનો નિર્ણય લીધો હતો.’
શિવસેનાના મુખપત્ર સામનાની ઑનલાઇન ઍડિશનને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કૉંગ્રેસમુક્ત ભારતના વિચાર પર પ્રતિકૂળ મત નોંધાવતાં કહ્યું હતું કે ‘હું કૉંગ્રેસમુક્ત ભારત જેવા શબ્દોનો ઉપયોગ કરતો જ નથી. કૉંગ્રેસને નષ્ટ કરો એવું કોઈ દિવસ બોલતો નથી. નષ્ટ કરો કે આનાથી મુક્ત, પેલાથી મુક્ત કરો જેવી ફાલતુ કલ્પનાઓ મારી પાસે નથી, વિરોધી પક્ષ તો હોવો જ જોઈએ. વિરોધ કરવો એટલે અકળાઈ જવાનુ કારણ નથી. તેમના પર પણ જવાબદારી છે અને જનતાને ન્યાય મેળવી આપવાની તેમની પણ જવાબદારી છે.’
ADVERTISEMENT
રાજ્યમાં બેકારી અત્યારે સૌથી મોટો મુદ્દો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘અત્યારે ૪૫ ટકા કરતાં વધુ બેરોજગારી છે અને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લાવવાની આવશ્યકતા છે. બધા જ રાજકીય પક્ષો પાસે મારી એવી અપેક્ષા છે કે ગેરવાજબી બોલશો નહીં, ખોટાં આશ્વાસન આપશો નહીં. લોકોનાં સપનાંને પાંખો ફૂટે છે અને પછી જ્યારે આ સપનાં પૂરાં નહીં થાય ત્યારે તેમનો રોષ સહન કરવો પડશે. ઠાકરે જુમલેબાજી કરતા નથી. ખોટું બોલતા નથી. લોકો જુમલાબાજી પર ચૂંટણીઓ જીતી પણ ગયા છે.’
આ વખતે ઉદ્ધવે ફરી એક વખત રામમંદિરના મુદ્દે બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી પછી જો રામમંદિરના નિર્માણની દિશામાં ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો ફરીથી અયોધ્યાની યાત્રા કરીશ.’
વસઈની ગુંડાગીરી ખતમ કરી નાખીશું : ઉદ્ધવ ઠાકરેનો પાલઘરમાં હુંકાર
વસઈગરાઓ તમે કોઈના ગુલામ નથી એમ કહેતાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પરોક્ષ રીતે હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડીને નિશાન બનાવતાં કહ્યું હતું કે ‘તમારા પર જો કોઈ ગુંડાગીરી કરતું હોય તો આવા ગલીના ગુંડાઓની દાદાગીરી અમે સરકાર તરીકે ખતમ કરી નાખીશું.’
શિવસેનાના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતના પ્રચાર માટે વસઈમાં આવેલા ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વસઈ કિલ્લા પર જઈને ચિમાજી આપ્પા સ્મારકનાં દર્શન કર્યાં હતાં અને વિવિધ વિસ્તારોમાં મતદારોને સંબોધ્યા હતા.
વિરોધીઓએ યુતિમાં મીઠાનો ગાંગડો નાખવાનો પ્રયાસ કર્યો હતો એમ કહેતાં ઉદ્ધવે જણાવ્યું હતું કે ‘બે હિન્દુત્વવાદી પક્ષોને લડાવીને તેનો ફાયદો લેવાનો તેમનો પ્રયાસ હતો, પરંતુ આ ચાલ અમે ભેગા થઈને નિષ્ફળ બનાવી છે. અત્યાર સુધી પાલઘર મતદાર સંઘમાં બન્ને પક્ષ અલગ-અલગ મંચ પરથી પ્રચાર કરતા હતા અને એકબીજાની સામે ઊભા હતા, પરંતુ પછી આખું ચિત્ર જોઈને અમે બન્નેએ ફરી નવી તાકાત સાથે એક થઈને ચૂંટણીનો સામનો કરવાનો નિર્ણય લીધો છે.’
બીજું શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ
હું સામાન્ય માણસ છું. કૉમન મૅન છું. હું શિવસૈનિક છું અને શિવસૈનિક કહ્યા પછી અલગથી ચોકીદાર બનવાની આવશ્યકતા નથી. સૈનિક એ સૈનિક હોય છે. તેનું કામ રક્ષણ કરવાનું છે. લોકોને ન્યાય અપાવવા માટે લડે છે તેને અલગથી ચોકીદાર થવાની આવશ્યકતા નથી.
યુતિ ૨૫ વર્ષ સુધી ટકાવી જ રાખી હતીને? છેલ્લાં પાંચ વર્ષમાં સંઘર્ષ શું કામ થયો એ ભૂલતા નહીં તો આગામી ૨૫ વર્ષ સુધી આ સંબંધો જળવાઈ રહેશે. અમે બન્નેએ છેલ્લાં ૨૫-૩૦ વર્ષ કોની સાથે સંઘર્ષ કર્યો હતો એ પણ ભૂલતા નહીં.
યુતિ ટકાવી રાખવા માટે પ્રમાણિકતા જોઈએ. અમે કોઈને દગો આપીશું નહીં એવું અમારું સ્પષ્ટ વલણ છે. જે કરીશું પાþમાણિકતાથી. મેં પહેલાં જે મુદ્દા ઉઠાવ્યા હતા એ જનતાના મુદ્દા હતા. એના ઉત્તર મળ્યા બાદ મને એવું લાગ્યું કે હવે વધુ તાણવાનો કોઈ અર્થ નથી.
અમિત શાહ બે વખત મારા ઘરે આવ્યા હતા. તેમનો અને મારો સંવાદ થતો રહેતો હોય છે. અનેક વખત ફોન પર અમે વાત કરીએ છીએ. તેમણે મને કહ્યું કે ઉદ્ધવજી બીચ મેં જો કુછ હુઆ ઉસે હમેં સુધારના હૈ, ઇસકો આગે નહીં બઢાના હૈ. મેં પણ કહ્યું ઠીક છે.
નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે છે અને વિપક્ષ પાસે તો વડા પ્રધાનપદ માટે એકેય ચહેરો પણ નથી. વડા પ્રધાનપદે હવે બીજા કોઈને બેસવાનો સમય આવી ગયો છે એવું અત્યારે તો મને લાગતું નથી.
આ પણ વાંચો: ટૉઇલેટ જવા ન મળતાં ઍક્ટ્રેસે કરી ધમાલ
ઉદ્ધવ ઠાકરે હૈ તો મુમકીન હૈ ઔર થોડા નમકીન ભી હૈ. નમકીન એટલા માટે કેમ કે હું કોઈને સારું લાગે એટલે ખોટું બોલતો નથી. મારો મિત્ર પણ ભૂલ કરતો હશે તો તેનું ધ્યાન દોરીશ, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે હું તેનો વિરોધી છું. આવું જો કોઈ માનતું હોય તો એ કમનસીબી છે. મુમકીન એટલા માટે કહું છું કે આપણે શું કરવું છે એ નક્કી કરનારો માણસ કે વ્યક્તિ જો વડા પ્રધાનપદે બેઠી હોય તો બધી જ બાબતો મુમકીન છે. ફક્ત ચૂંટણી જીતવાની છે અને દિવસો કાઢવાના છે એટલે જ કોઈ પણ ખુરશી પર બેસી જાય એવું થાય તો કશું જ થશે નહીં. મોદીએ કેટલાંક સારાં કામ ચોક્કસ કર્યાં છે, પણ નિર્ણય લેનારી સરકાર છે એવી પ્રતિમા તો ચોક્કસ નિર્માણ થઈ છે.