મુંબઈ : દશેરા કે દિવાળી પહેલાં શરૂ થઈ જશે સિનેમા હૉલ
સિેનેમા હૉલ
કેન્દ્ર સરકારે જાહેર કરેલી અનલૉક ફાઇવની ગાઇડલાઇન મુજબ ૧૫ ઑક્ટોબરથી સિનેમા હૉલ, થિયેટર્સને પોતાની ક્ષમતાના ૫૦ ટકા ખુલ્લાં મૂકવાની અનુમતિ આપવામાં આવી હતી, પણ મહારાષ્ટ્રમાં સિંગલ સ્ક્રીન સિનેમા હૉલને શરૂ કરવા માટે હજી પણ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની રાહ જોવાઈ રહી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના જણાવ્યાનુસાર કલ્ચરલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આ બાબતે લીલી ઝંડી આપ્યા બાદ જ આગળ વધવામાં આવશે.
તો આ બાબતે કલ્ચરલ અફેર્સ ડિપાર્ટમેન્ટના અમિત દેશમુખ પરવાનગી આપે તો રાજ્યની પ્રજા દિવાળી-દશેરા પહેલાં થિયેટરમાં ફિલ્મ જોવા જઈ શકશે. તહેવારોની સીઝન હોવાથી ફિલ્મ ઉદ્યોગ પણ આ સમયમાં ફિલ્મો રિલીઝ કરતી હોય છે. આ સંદર્ભે વાત કરતાં ઠાકરેએ કહ્યું કે ‘શિયાળો નજીક આવી રહ્યો છે અને એ સમયમાં આ વાઇરસ ફેલાવાના ચાન્સ વધારે છે. ફિલ્મ જોવા જનારાઓએ બે કલાક ઍરકન્ડિશન્ડ હૉલમાં નિર્ધારિત પ્રોટોકૉલને અનુસરતા રહેવાનું હશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી દેશમાં ઘણા લોકોને નોકરી આપે છે અને વિશ્વભરમાં તેમના અનેક ચાહકો પણ છે. તેમ છતાં, ઘણી દુઃખદ વાત છે કે આ ઇન્ડસ્ટ્રી કેટલાક લોકોને લીધે બદનામ થઈ રહી છે. બૉલીવુડને નબળું પાડવાના લોકોના ષડ્યંત્રને હું ક્યારેય સફળ થવા નહીં દઉ.’
ADVERTISEMENT
સિનેમા માટે કેટલાક નવા નિયમો
ડિજિટલ બુકિંગ કરનારાઓને પહેલાં પ્રાયૉરિટી આપવામાં આવશે, જ્યારે ઍડ્વાન્સ બુકિંગ માટે બુકિંગ કાઉન્ટર્સ ખુલ્લાં રાખવામાં આવશે. અલગ અને નવા શો ટાઇમિંગ્સ ઉપરાંત હૉલમાં ખાવાનું લઈ જવાની પરવાનગી આપવામાં નહીં આવે. સાથે-સાથે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સૅનિટાઇઝર અને દર્શકોનું થર્મલ સ્ક્રીનિંગ નિયમિતપણે થતું રહેવું જોઈએ. જે દર્શકનું ટેમ્પરેચર વધારે હોય તેમને ફિલ્મ જોવાની માન્યતા આપવામાં નહીં આવે અને ટિકિટના પૈસા રિફંડ કરવામાં આવશે.