મૂડીરોકાણકારોને દૂર ભગાડે છે ઉદ્ધવ ઠાકરે : ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
(પી.ટી.આઇ.) મૂડીરોકાણકારો રાજ્યથી દૂર ભાગે એવું વાતાવરણ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સર્જી રહ્યા હોવાનું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ફડણવીસે બીજેપીના શાસનકાળમાં મંજૂર કરાયેલું આરે કૉલોનીમાં મેટ્રો રેલવેના કાર-શેડનું બાંધકામ રોકવા અને બુલેટ ટ્રેન જેવી યોજનાઓ પર પુનર્વિચારના આદેશ બહાર પાડીને મહારાષ્ટ્ર મૂડીરોકાણકારો માટે પ્રતિકૂળ રાજ્ય હોવાની છાપ ઉદ્ધવ ઠાકરેએ ઊભી કરી હોવાનું ફડણવીસે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : શિવસેનાએ દબાણમાં પોતાનો મત ન બદલવો જોઈએ : ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘મૂળભૂત સુવિધા કે માળખાકીય વિકાસની એક પણ યોજના વૃક્ષ કાપ્યાં વગર આગળ વધી શકતી નથી. અમે આરે કૉલોનીમાં લગભગ ૨૦૦૦ ઝાડ કાપ્યાં, પરંતુ એનાં ચાર વર્ષ પહેલાં ૨૩,૦૦૦ છોડવા રોપ્યા હતા. એ બધા રોપા જીવંત છે અને વૃદ્ધિ પામી રહ્યા છે. ત્યાર પછી વધુ ૨૫,૦૦૦ છોડવા રોપાયા હતા. ઉદ્ધવ ઠાકરેની સરકારનું વર્તન જોઈને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ચિંતામાં પડ્યા છે. તેમને માટે મહારાષ્ટ્રમાં વેપાર-ઉદ્યોગો ચાલુ રાખવા કે નહીં એ સવાલ ઊભો થયો છે.’