લોકલ ટ્રેનમાં સૌને પ્રવાસનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન કોવિડને કારણે ૧૦ મહિનાથી સામાન્ય લોકો માટે બંધ છે. હવે મુંબઈમાં કરોનાનું જોખમ ઓછું થવાની સાથે વૅક્સિન પણ આવી ગઈ હોવાથી લોકલ ટ્રેનમાં સૌને પ્રવાસની મંજૂરી મળવાની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ગઈ કાલે આ બાબતનો નિર્ણય લેવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠકમાં ગિરદીને નિયંત્રણમાં રાખવા બાબતે ચર્ચા થઈ હતી અને મુખ્ય પ્રધાને બધાને લોકલમાં પ્રવાસ બાબતનો નિર્ણય ટૂંક સમયમાં લેવાનું કહ્યું હતું.
મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં ચીફ સેક્રેટરી સંજય કુમાર, મુખ્ય પ્રધાનના સલાહકાર અજૉય મહેતા, મુખ્ય પ્રધાનના ઍડિશનલ ચીફ સેક્રેટરી આશિષકુમાર સિંહ, પ્રિન્સિપલ સેક્રેટરી વિકાસ ખારગે, સેક્રેટરી આબાસાહેબ જરાડ, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ડિરેક્ટર અભય યાવલકર સહિત સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સંજીવ મિત્તલ, પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર આલોક કંસલ અને મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિતના ટોચના અધિકારીઓ સામેલ હતા.